ભરૂચ :
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી–૨૦૨૬ને અનુલક્ષીને ભરૂચ જિલ્લામાં રાજકીય પ્રચાર દરમિયાન કટઆઉટ, બેનર અને પોસ્ટરો મૂકવા બાબતે પ્રતિબંધાત્મક હુકમ જાહેર કરવામાં આવ્યો છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પાર્થ જયસ્વાલ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ની કલમ–૧૬૩ હેઠળ આ હુકમ બહાર પાડવામાં આવ્યો છે.
ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્વારા જાહેર થયેલા ચૂંટણી કાર્યક્રમ મુજબ જિલ્લામાં નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ માટે મતદાન તા. ૨૬ એપ્રિલ, ૨૦૨૬ના રોજ અને મતગણતરી તા. ૨૮ એપ્રિલ, ૨૦૨૬ના રોજ યોજાનાર છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન જાહેર સ્થળો પર બેનર-પોસ્ટર અને વિશાળ કટઆઉટ મૂકવાના કારણે ટ્રાફિકની સમસ્યા ઊભી થવા સાથે જાહેર સુરક્ષાને જોખમ ઊભું થવાની શક્યતા હોવાથી આ નિયંત્રણો અમલમાં મુકાયા છે.
જાહેર હુકમ મુજબ સરકારી મિલકતો, રસ્તાઓ, જાહેર સ્થળો, વિજળી અને ટેલીફોનના થાંભલા સહિત કોઈપણ જાહેર મિલકત પર રાજકીય પક્ષો અથવા ઉમેદવારો દ્વારા કટઆઉટ, પોસ્ટર, બેનર, ધજા-પતાકા કે ભીંતચિત્રો મૂકવા સંપૂર્ણ મનાઈ રહેશે. આ સાથે જાહેર માર્ગો પર કમાનો કે દરવાજા ઉભા કરવાની પણ મનાઈ રાખવામાં આવી છે, ભલે તે જગ્યા ભાડે આપવામાં આવી હોય તો પણ આ પ્રતિબંધ લાગુ રહેશે.
ખાનગી મિલકતમાં બેનર-પોસ્ટર મૂકવા માટે કેટલીક શરતો નક્કી કરવામાં આવી છે. જેમાં સંબંધિત સત્તાધિકારીની મંજૂરી લેવી ફરજિયાત રહેશે, કટઆઉટની ઊંચાઈ ૮ ફૂટથી વધુ ન હોવી જોઈએ, તેમજ મિલકત માલિકની લેખિત મંજૂરી લેવી જરૂરી રહેશે. ઉપરાંત, આવી જાહેરાત મૂકતા પહેલા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા પોલીસ અધિકારીને જાણ કરવી ફરજિયાત રાખવામાં આવી છે. હોર્ડિંગ્સનું માપ પણ નક્કી મર્યાદા હેઠળ જ રાખવું પડશે.
આ હુકમનો ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની કલમ–૨૨૩ મુજબ સજા અને દંડની જોગવાઈ કરવામાં આવી છે. આ હુકમનો અમલ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી, એટલે કે તા. ૩૦ એપ્રિલ, ૨૦૨૬ સુધી લાગુ રહેશે.
