ભરૂચ:
શ્રીમતી ચંદાબેન ભાઈદાસ પ્રાથમિક મિશ્રશાળાના પ્રાંગણમાં આજ રોજ ધોરણ-૮ના વિદ્યાર્થીઓ માટે વિદાય સમારંભ ખૂબ જ આયોજનબદ્ધ અને લાગણીસભર વાતાવરણમાં ઉજવાયો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધોરણ-૭ની વિદ્યાર્થીનીઓ દ્વારા સુંદર રીતે કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સરોજબેન ગાંધીતેમજ બિપીનચંદ્ર જગદીશ વાલા ઉપસ્થિત રહ્યાં હતાં, જ્યારે આચાર્યશ્રી વાઘેલા સાહેબની વિશેષ હાજરી રહી હતી. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના સાથે કરવામાં આવી હતી.
મહેમાનશ્રીઓએ વિદ્યાર્થીઓને ભાવિ જીવન માટે શુભેચ્છાઓ પાઠવી અને પ્રેરણાદાયક આશીર્વચન આપ્યાં હતાં. ધોરણ-૮ના વિદ્યાર્થીઓએ પોતાના શૈક્ષણિક અનુભવ અને સંસ્મરણો રજૂ કરી શાળા તથા ગુરુજનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.
વર્ગશિક્ષિકાશ્રીએ પોતાના અનુભવો રજૂ કરતા શિક્ષક-વિદ્યાર્થી વચ્ચેના લાગણીસભર સંબંધોનું ભાવવાહી વર્ણન કર્યું હતું. વિદ્યાર્થીઓની યાદગીરીરૂપે રંગબેરંગી ફિંગર કલરની છાપ લેવામાં આવી હતી.
આ પ્રસંગે તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો આપવામાં આવ્યા તેમજ વર્ષ દરમિયાન વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં વિજેતા રહેલા વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ અંતે મહેમાનશ્રીઓ સાથે સમૂહ ફોટોગ્રાફ લેવામાં આવ્યા બાદ સમારંભ પૂર્ણ થયો હતો.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રાથમિક વિભાગના શિક્ષિકા બહેનો, સ્ટાફ મિત્રો અને વિદ્યાર્થીઓના સહકાર બદલ શાળા પરિવાર દ્વારા હાર્દિક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
