ભરૂચ
ભરૂચ શહેરની આર.કે. કાસ્ટ વિસ્તારમાં આવેલી એક ચાઇલ્ડ કેર હોસ્પિટલમાં સારવાર દરમિયાન 8 મહિનાની બાળકીના મોતની ઘટનાએ ચકચાર મચાવી છે. વેજલપુર વિસ્તારમાં રહેતા વિવેક માછીની પુત્રીને તાવ આવતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન પરિસ્થિતિ બગડતા પરિવારજનોએ તબીબી બેદરકારીના આક્ષેપો કર્યા છે.
પરિવારના જણાવ્યા મુજબ, સવારે બાળકીને અચાનક ખેંચ આવતાં તાત્કાલિક વડોદરા અથવા સુરત ખસેડવાની સલાહ આપવામાં આવી હતી. મુખ્ય તબીબ બપોરે હાજર થયા બાદ એમ્બ્યુલન્સ દ્વારા રિફર કરવાની પ્રક્રિયા શરૂ થઈ હતી. આ દરમિયાન એનેસ્થેસિયા નિષ્ણાત ડૉ. પરાગ મોદી એમ્બ્યુલન્સ સાથે જવા તૈયાર થયા હતા, પરંતુ પરિવારજનોએ આક્ષેપ કર્યો કે તેમણે એસી સુવિધાવાળી ગાડી અને ₹12 હજારની માંગણી કરી હતી.
પરિવારજનો આ માંગણી માટે તૈયાર થયા હોવા છતાં, એમ્બ્યુલન્સ પહોંચ્યા બાદ ડૉક્ટરે ઓક્સિજન પ્લગ ન હોવા સહિતના કારણો દર્શાવી સાથે જવાનું ટાળ્યું હતું. આ દરમિયાન બાળકીની તબિયત વધુ બગડી ગઈ હતી. અંતે પરિવારજનો બાળકી ને ફરી હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી. પરિવારજનોએ હોસ્પિટલ પ્રશાસન અને તબીબોની બેદરકારી સામે ગંભીર આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. સમગ્ર મામલે તપાસ હાથ ધરાશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
