ભરૂચ શહેરમાં ઘરફોડ ચોરીની વધુ એક ઘટના સામે આવી છે. મક્તમપુરના મહાકાળી ફળિયામાં રહેતા દિવ્યજીત સોમા વસાવાને તેમના ઝાડેશ્વર સ્થિત કોઠી ફળિયામાં રહેતા મામાનો ફોન આવ્યો હતો કે તેઓ પરિવાર સાથે 22મી એપ્રિલે સોમનાથ-દ્વારકા પ્રવાસે ગયા છે અને ઘરને તાળું મારેલું છે, પરંતુ કોઇએ જાણ કરી છે કે ઘરના બારણાં ખુલ્લાં છે.
આ જાણ થતાં દિવ્યજીત તાત્કાલિક ઝાડેશ્વર સ્થિત મામાના ઘરે પહોંચ્યા હતા. ત્યાં પહોંચી તપાસ કરતાં ઘરના પાછળના દરવાજા તૂટેલા અને ખુલ્લા હાલતમાં જોવા મળ્યા હતા. તેમણે વિડીયો કોલ દ્વારા મામાને ઘરની સ્થિતિ બતાવી અને અંદર જઈ તપાસ કરતાં તિજોરીના તાળા તૂટેલા અને સામાન અસ્તવ્યસ્ત હાલતમાં જોવા મળ્યો હતો.
તિજોરીમાં મુકેલા દાગીનાની ચકાસણી કરતાં સોનાની બે વિંટી અને ચાંદીની પાયલની બે જોડી મળી ન આવી, જેની કુલ કિંમત અંદાજે રૂપિયા 1.78 લાખથી વધુ હોવાનું બહાર આવ્યું હતું.
આ બનાવ અંગે દિવ્યજીતે તેમના મામાના જણાવ્યા મુજબ ભરૂચ ‘સી’ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
