ભરૂચ : આમુખ-૧ થી નબીપુર-વરેડીયા સ્ટેશનો વચ્ચે આવેલા L.C. નં. 191 પર રોડ ઓવરબ્રિજ બનાવવાની કામગીરી હાથ ધરાતા સદર માર્ગ વાહન વ્યવહાર માટે અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યો છે. આ અંગે Western Railway ના ડેપ્યુટી ચીફ એન્જિનિયર (Construction), પ્રતાપનગર વડોદરા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.
આ રજૂઆતના આધારે ગુજરાત પોલીસ તથા ભરૂચ પોલીસ તંત્રની હકારાત્મક ભલામણ બાદ ઇન્ચાર્જ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ-૩૩ (૧) (બી) હેઠળ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
જાહેરનામા અનુસાર L.C. નં. 191 રોડ ઓવરબ્રિજનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી વાહન વ્યવહાર માટે રસ્તો સંપૂર્ણ બંધ રહેશે.
જાહેર કરાયેલ રૂટ ડાયવર્ઝન
- મોટા વાહનો માટે વરેડીયા NH-48 તરફથી નબીપુર ફાટક અને પાલેજ ફાટક મારફતે ટંકારીયા, ઘોડી અને કહાન તરફ અવર-જવર કરી શકાશે.
- નાના વાહનો, મોટરસાઇકલ અને ફોર-વ્હીલર માટે પાલેજ ક્રોસિંગ ગેટ નં. 196 (RUB), 197 અને 198 તેમજ કરગટ ક્રોસિંગ ગેટ નં. 189 (RUB) અને નબીપુર ફાટક નં. 187 મારફતે કહાન, અડોલ, ટંકારીયા અને ઘોડી તરફ અવર-જવર માટે વૈકલ્પિક માર્ગ નક્કી કરવામાં આવ્યો છે.
વહીવટી તંત્રએ વાહનચાલકોને જાહેરનામાનું પાલન કરી વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અપીલ કરી છે.
જાહેરનામાનો ભંગ કરનાર સામે ગુજરાત પોલીસ અધિનિયમ કલમ ૧૩૧ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ પોલીસ હેડ કોન્સ્ટેબલથી ઉપરની કક્ષાના અધિકારીઓને ફરિયાદ નોંધવાની સત્તા આપવામાં આવી હોવાનું અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેર કરાયેલ યાદીમાં જણાવાયું છે.
