ભરૂચ : ભરૂચ પાલિકા કચેરી ખાતે સોમવારે શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, પાલિકાના નવા ચૂંટાયેલા કોંગ્રેસ સભ્યો સમસાદ અલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા સહિત કાર્યકરો, આગેવાનો અને સ્થાનિકોએ પાલિકાના નવા પ્રમુખની મુલાકાત લઈ શહેરમાં સર્જાતી પાણીની સમસ્યા અંગે રજૂઆત કરી હતી.
કોંગ્રેસ આગેવાનો દ્વારા જણાવાયું હતું કે, શહેરના અનેક વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી પાણીની અછત અને અનિયમિત પુરવઠાની સમસ્યા યથાવત છે. ભાજપ છેલ્લા ત્રણ દાયકાથી સત્તામાં હોવા છતાં પણ નાગરિકોને પૂરતું અને નિયમિત પાણી મળી રહે તેવો કાયમી ઉકેલ લાવવામાં નિષ્ફળ ગયું હોવાનું તેમણે આક્ષેપ કર્યો હતો.
આગામી ઈદના તહેવારને ધ્યાનમાં રાખીને શહેરના તમામ વિસ્તારોમાં પૂરતા પ્રમાણમાં અને નિયમિત પાણી પુરવઠો આપવામાં આવે તેવી ખાસ માંગ પણ કરવામાં આવી હતી. પાલિકાના નવા પ્રમુખે આગેવાનોની રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી સમસ્યાના સકારાત્મક નિરાકરણ માટે જરૂરી પગલાં ભરવાની બાંહેધરી આપી હતી.
