સુરત ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા કામરેજ તાલુકાના નવાગામ ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલ આરાધ્યા માર્કેટીંગ એન્ડ ડેરી પ્રોડક્ટ્સ નામના એકમમાં દરોડો પાડી શંકાસ્પદ ઘી બનાવવાના નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસે સ્થળ પરથી અંદાજે રૂ. ૩,૦૧,૫૯૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસને મળેલી બાતમીના આધારે નવાગામ ઉદ્યોગનગર પ્લોટ નંબર-૧૫ ખાતે આવેલા ગોડાઉનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન એકમના માલિક કિરણભાઈ ઈશ્વરભાઈ મોદી પામ ઓઈલ અને વનસ્પતિ તેલનું મિશ્રણ કરી “ગાયનું શુદ્ધ ઘી” તરીકે અલગ-અલગ પેકિંગમાં વેચાણ માટે તૈયાર કરતા હોવાનું સામે આવ્યું હતું.
પોલીસે સ્થળ પરથી રિફાઇન્ડ પામ ઓઈલ, વનસ્પતિ તેલ, શંકાસ્પદ ઘી, સ્ટોરેજ ટાંકા, બ્લેન્ડિંગ મશીનો, પેકિંગ મશીન, લેબલ પ્રિન્ટિંગ મશીન સહિતનો જથ્થો કબજે કર્યો હતો. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓને સ્થળ પર બોલાવી જરૂરી સેમ્પલ લઈ તપાસ માટે મોકલવામાં આવ્યા છે.
પ્રાથમિક પૂછપરછમાં માલિકે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાંથી ઘી બનાવવાનું લાયસન્સ મેળવ્યું હોવાની કબૂલાત કરી હતી, પરંતુ ડેરી પ્રોડક્ટ્સના બદલે પામ ઓઈલ અને વનસ્પતિ ઘીનું મિશ્રણ કરી તેને “ગાયનું શુદ્ધ ઘી” તરીકે પેક કરી વેચાણ કરતા હોવાની હકીકત સામે આવી છે.
આ સમગ્ર કાર્યવાહી સુરત ગ્રામ્ય LCBના પોલીસ ઈન્સ્પેક્ટર એન.જી. પાંચાણીના માર્ગદર્શન હેઠળ PSI એ.એન. ચૌહાણ અને ટીમ દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવી હતી. હાલ પોલીસે વધુ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
