ભરૂચ જિલ્લાના જાગેશ્વર ગામ નજીક આવેલ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમી. સંચાલિત નવયાન શિપયાર્ડ ખાતે જમીન ગુમાવનાર પરિવારો દ્વારા રોજગારીની માંગ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વહેલી સવારે ગેટ નંબર-2 સામે મોટી સંખ્યામાં ભેગા થયેલા લેન્ડ લૂઝર્સે કંપની વિરુદ્ધ નારાજગી વ્યક્ત કરી ધરણાં શરૂ કર્યા હતા.
મળતી માહિતી મુજબ, અગાઉ અહીં એબીજી શીપયાર્ડ ખાતે આશરે 110 જેટલા લેન્ડ લૂઝર્સને રોજગારી આપવામાં આવી હતી. આશરે આઠેક વર્ષ સુધી નોકરી કર્યા બાદ કંપની બંધ થતાં કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા હતા. ત્યારબાદ કંપની લાંબા સમય સુધી બંધ રહી હતી અને પછી વેલ્સપૂન દ્વારા ટેકઓવર કરવામાં આવી હતી. બાદમાં આ એકમ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમી.એ ખરીદી તેનું નામ નવયાન શીપયાર્ડ રાખ્યું હતું.
સ્થાનિકોના આક્ષેપ મુજબ, હાલમાં કંપનીમાં શીપયાર્ડ સંબંધિત કામગીરી નહીં પરંતુ કેમિકલ પ્લાન્ટનું કામ ચાલી રહ્યું છે. તેમ છતાં જમીન ગુમાવનાર પરિવારોને રોજગારી આપવામાં આવતી નથી. વિરોધકારીઓએ આરોપ લગાવ્યો હતો કે કંપની બહારના લોકોને નોકરી આપે છે પરંતુ સ્થાનિક લેન્ડ લૂઝર્સ સાથે કોઇ ચર્ચા પણ કરવામાં આવતી નથી.
આ મુદ્દે આજે સવારના 5 વાગ્યાથી જાગેશ્વર ગામ નજીક કંપનીના ગેટ નંબર-2 સામે મહિલાઓ અને પુરુષો સહિત મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. તેમણે કંપનીમાં જતાં અન્ય કર્મચારીઓને પણ અંદર ન જવા અને પોતાના આંદોલનમાં જોડાવા અપીલ કરી હતી.
પરિસ્થિતિ તંગ બનતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને ધરણાં પર બેઠેલા મહિલાઓ-પુરુષોને ડિટેઇન કરી સ્થિતિ કાબૂમાં લીધી હતી. ઘટનાને લઈને વિસ્તારમાં ભારે તણાવનો માહોલ સર્જાયો હતો.
