ભરૂચ : રાજ્યભરમાં ‘સ્વચ્છ ગામ થકી સ્વચ્છ જિલ્લા, સ્વચ્છ રાજ્ય અને સ્વચ્છ દેશ’ના સંકલ્પ સાથે શરૂ કરાયેલા ‘સ્વચ્છતા સપ્તાહ અભિયાન’ અંતર્ગત ભરૂચ જિલ્લાના તમામ નવ તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારોમાં વ્યાપક સ્તરે સામૂહિક સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આગામી તા. 14 જૂન 2026 સુધી ચાલનારા આ અભિયાન હેઠળ ગ્રામ્ય વિસ્તારોને પ્લાસ્ટિક મુક્ત બનાવવા અને પર્યાવરણ સુરક્ષા અંગે જાગૃતિ લાવવાના પ્રયાસો હાથ ધરાયા છે.
‘૧૨ વર્ષ વિકાસના, વિશ્વાસના અને જનકલ્યાણના’ ઉજવણી પ્રસંગે યોજાયેલા આ અભિયાન દરમિયાન જિલ્લાના વિવિધ ગામોમાં ‘પ્લાસ્ટિક મુક્ત ગ્રામ્ય દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. ગ્રામ પંચાયત અને સ્થાનિક નાગરિકોના સહયોગથી ગામના મુખ્ય રસ્તાઓ, ચોરા, જાહેર સ્થળો, ધાર્મિક સ્થળો તેમજ ગ્રામ પંચાયત કચેરી આસપાસના વિસ્તારોમાં સઘન સફાઈ હાથ ધરવામાં આવી હતી.
અભિયાન દરમિયાન ગ્રામજનોને પ્લાસ્ટિક મુક્ત ગામના મહત્વ, પર્યાવરણ સુરક્ષા તથા જાહેર સ્થળોએ કચરો ન ફેંકવા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોએ જણાવ્યું હતું કે સ્વચ્છતા માત્ર એક દિવસનો કાર્યક્રમ નહીં પરંતુ જીવનશૈલીનો અભિન્ન ભાગ બનવી જોઈએ. સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવો અને ગામમાં કાયમી સ્વચ્છતા જળવાઈ રહે તે દરેક નાગરિકની સામૂહિક જવાબદારી છે.
‘મારું ગામ-સ્વચ્છ ગામ’ના સંકલ્પ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના સદસ્યો, સરપંચો, તલાટી કમ મંત્રીઓ, સ્થાનિક અગ્રણીઓ, સ્વચ્છ ભારત મિશનનો સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. તમામે ગામને સ્વચ્છ, સુંદર અને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે શપથ લીધા હતા.
