ભરૂચ જિલ્લા કલેક્ટરની નેત્રંગના આદિવાસી વિસ્તારના વરખડી ગામે મુલાકાત
ભરૂચ :
રાજ્ય સરકારના પ્રજાભિમુખ વહીવટના અભિગમને વધુ અસરકારક બનાવવાના હેતુથી ડો. નવનાથ ગવ્હાણે દ્વારા આજે નેત્રંગ તાલુકાના અંતરિયાળ આદિવાસી વિસ્તાર એવા વરખડી ગામની આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી.
મુલાકાત દરમિયાન કલેક્ટરશ્રીએ ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધી તળભૂમિના પ્રશ્નો અને લોકસમસ્યાઓ અંગે અત્યંત સંવેદનશીલતાપૂર્વક ચર્ચા કરી હતી. ગ્રામજનો પાસેથી પાણી, રસ્તા, આરોગ્ય અને અન્ય પાયાની સુવિધાઓ સંબંધિત રજૂઆતો સાંભળી તેમની સમસ્યાઓ તથા સૂચનો અંગે વિગતવાર માહિતી મેળવી હતી.
કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, સરકારના વિકાસ કાર્યો અને જનકલ્યાણ યોજનાઓ છેવાડાના માનવી સુધી વિના અવરોધે પહોંચે તે વહીવટી તંત્રની પ્રથમ પ્રાથમિકતા છે. ખાસ કરીને વરખડી ગામમાં રસ્તા અને પીવાના પાણી સંબંધિત પ્રશ્નોના નિરાકરણ માટે સંબંધિત વિભાગોને તાત્કાલિક ધ્યાન આપવા સૂચના આપવામાં આવી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે ગામમાં હજુ સુધી યોજનાઓથી વંચિત રહી ગયેલા પાત્ર લાભાર્થીઓને આયુષ્માન ભારત, પીએમ આવાસ યોજના અને પીએમ કિસાન સન્માન નિધિ જેવી મહત્વપૂર્ણ યોજનાઓનો લાભ મળે તે માટે આગામી સમયમાં વિશેષ કેમ્પનું આયોજન કરવા સૂચનાઓ આપવામાં આવી હતી.
મુલાકાત દરમિયાન ગ્રામજનોએ પીવાના પાણીની સુવિધા, આરોગ્ય સેવાઓ, આંતરિક રસ્તાઓના મજબૂતીકરણ, ખેતીવાડી માટે પૂરતી વીજળી તેમજ સ્થાનિક સ્તરે સરકારી યોજનાઓના લાભ અંગે પોતાની રજૂઆતો કરી હતી. કલેક્ટરશ્રીએ સંબંધિત અધિકારીઓને તમામ મુદ્દાઓ પર જરૂરી માર્ગદર્શન અને યોગ્ય કાર્યવાહી કરવા સૂચનાઓ આપી હતી.
આ પ્રસંગે નેત્રંગના મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તથા અન્ય અધિકારીઓ સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા વહીવટી તંત્રના વડાને પોતાના ગામમાં પ્રત્યક્ષ જોઈ વરખડી ગામના નાગરિકોએ આનંદ વ્યક્ત કરી જિલ્લા વહીવટી તંત્રનો આભાર માન્યો હતો।
