ભરૂચ:
વાલીયા તાલુકામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ બાદ અસરગ્રસ્ત પરિવારોને ઝડપથી સરકારી સહાય મળી રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર સક્રિય બન્યું છે. કોંઢ અને સિલુડી ગામમાં અસરગ્રસ્ત રહેણાંક મકાનો તેમજ ઘરવખરીને થયેલા નુકસાનનો સર્વે યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવ્યો છે.
જિલ્લા કલેક્ટર ડૉ. નવનાથ ગવ્હાણેના માર્ગદર્શન હેઠળ વાલીયા તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારની દેખરેખમાં વિશેષ સર્વે ટીમો કાર્યરત કરવામાં આવી છે. વાલીયા મામલતદાર જીગ્નેશભાઈ કામદાર, નાયબ મામલતદાર અને તલાટી ગ્રામસેવકોની ટીમોએ અસરગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લઈને નુકસાનની વિગતો એકત્રિત કરવાની કામગીરી હાથ ધરી છે.
સર્વે દરમિયાન કાચા અને પાકા મકાનોને થયેલા નુકસાન ઉપરાંત ઘરવખરીને થયેલી હાનિની ઝીણવટભરી માહિતી નોંધવામાં આવી રહી છે, જેથી અસરગ્રસ્તોને સરકારી નિયમો મુજબ ઝડપથી આર્થિક સહાય અને કેશડોલ્સની ચુકવણી થઈ શકે.
વહીવટી તંત્ર દ્વારા સર્વે અહેવાલો તાત્કાલિક તૈયાર કરીને ઉચ્ચ કચેરીએ મોકલવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. સાથે જ અસરગ્રસ્ત ગ્રામજનોને આશ્વાસન આપવામાં આવ્યું છે કે સરકાર અને સ્થાનિક તંત્ર તેમની સાથે છે અને સર્વે પૂર્ણ થતાં જ નિયમાનુસાર વળતર ચૂકવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
