ભરૂચ:
રાજ્યભરમાં તલાટી-કમ-મંત્રીઓના જોબચાર્ટને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળના આહ્વાનને અનુસરી ભરૂચ જિલ્લાના ૩૮૫ તલાટી-કમ-મંત્રીઓએ પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ સિવાયની તમામ વધારાની કામગીરીનો બહિષ્કાર શરૂ કર્યો છે. આ નિર્ણયના ભાગરૂપે ૩ જુલાઈથી મહેસૂલી કામગીરી પણ સ્થગિત રાખવામાં આવી છે.
ભરૂચ જિલ્લા તલાટી મંડળના પ્રમુખ જ્યોર્જ મેકવાને જણાવ્યું હતું કે, હાલ તલાટી-કમ-મંત્રીઓ પર પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ ઉપરાંત મહેસૂલ સહિત વિવિધ વિભાગોની કામગીરીનો વધારાનો બોજો લાદવામાં આવ્યો છે. સ્પષ્ટ જોબચાર્ટના અભાવે કામનું ભારણ સતત વધી રહ્યું છે, જેના કારણે ગ્રામ પંચાયતની મૂળભૂત કામગીરી પણ પ્રભાવિત થઈ રહી છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, વર્ષ ૨૦૨૨માં થયેલી તલાટીઓની હડતાળ બાદ રાજ્ય સરકારે તલાટી અને મહેસૂલી તલાટીની કામગીરી અલગ કરવા માટે સમિતિની રચના કરી હતી. જોકે ચાર વર્ષ વીતી ગયા છતાં સમિતિની ભલામણોનો અમલ કરવામાં આવ્યો નથી. દરમિયાન મહેસૂલી તલાટીઓની ભરતી પૂર્ણ થઈ હોવા છતાં બંને કેડરની કામગીરીની સ્પષ્ટ વહેંચણી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળે પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ સિવાયની તમામ કામગીરી સ્થગિત રાખવાનો નિર્ણય લીધો છે. જિલ્લા સ્તરે તમામ તલાટી-કમ-મંત્રીઓને આ નિર્ણયનું ચુસ્ત પાલન કરવા સૂચના આપવામાં આવી છે.
આંદોલનના ભાગરૂપે ભરૂચ જિલ્લાના તમામ તાલુકાના તલાટી-કમ-મંત્રીઓએ સંબંધિત મામલતદારોને આવેદનપત્ર પાઠવી રાજ્ય સરકાર સમક્ષ પોતાની માંગણીઓ રજૂ કરી છે.
