ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાં 4 જુલાઈના રોજ પડેલા ભારે વરસાદ બાદ સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વાલિયાના ધારાસભ્ય રિતેશ વસાવાએ મંગળવારે સિલુડી, કોંઢ અને વટારીયા સહિતના અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને આર્થિક સહાય અર્પણ કરી તેમની સમસ્યાઓ સાંભળી હતી તેમજ જરૂરી સહાય અને પુનર્વસન માટે તમામ શક્ય મદદની ખાતરી આપી હતી.
ધારાસભ્યએ જિલ્લા પ્રમુખ ડિમ્પલબેન રાજ, કારોબારી ચેરમેન પ્રવીણ પટેલ, તાલુકા વિકાસ અધિકારી (ટીડીઓ), મામલતદાર, પૂર્વ સભ્ય અલ્પેશ વસાવા, મહામંત્રી પ્રદીપસિંહ ભરથાણીયા, પૂર્વ ઉપપ્રમુખ ધરમસિંહ વસાવા અને ચિરાગ રાઠોડ સહિતના આગેવાનો સાથે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. અધિકારીઓ પાસેથી વરસાદને કારણે થયેલા નુકસાનની વિગતવાર માહિતી મેળવી રાહત અને પુનઃસ્થાપન કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
મુલાકાત દરમિયાન સિલુડી ગામમાં વરસાદી પાણીના નિકાલની લાંબા સમયથી રહેલી સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે ધારાસભ્ય રિતેશ વસાવાએ પોતાની ધારાસભ્ય ગ્રાન્ટમાંથી ગામની કાંસ ઊંડી કરવા રૂ. 5 લાખ ફાળવવાની જાહેરાત કરી હતી.
આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે વરસાદી આપત્તિથી અસરગ્રસ્ત પરિવારોને સરકારની વિવિધ યોજનાઓ હેઠળ મળવાપાત્ર સહાય ઝડપથી મળી રહે તે માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ફરી સર્જાય નહીં તે માટે વરસાદી પાણીના યોગ્ય નિકાલ અને અન્ય જરૂરી વિકાસકાર્યોને પણ પ્રાથમિકતા આપવામાં આવશે.
