વાંકલ: સુરત જિલ્લાના ‘મીની ચેરાપુંજી’ તરીકે ઓળખાતા ઉમરપાડા તાલુકામાં ગઈકાલે ધોધમાર વરસાદ વરસતાં જનજીવન પર વ્યાપક અસર જોવા મળી હતી. જિલ્લામાં સૌથી વધુ વરસાદ મેળવનારા ઉમરપાડાના જંગલ વિસ્તારમાં ભારે વરસાદને કારણે નદી-નાળા અને કોતરોમાં ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે અનેક વિસ્તારોમાં પાણીની ભારે આવક નોંધાઈ હતી.
ભારે વરસાદના પગલે ઉમરપાડા તાલુકાના કદવાલી ગામથી ચોખવાડા ગામને જોડતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. કોતરોનું પાણી ભારે વેગ સાથે રસ્તા પરથી પસાર થતાં વાહનચાલકો માટે જોખમી સ્થિતિ ઊભી થઈ હતી. સલામતીના હેતુસર આ માર્ગ પરનો વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો, જેના કારણે સ્થાનિક ગ્રામજનો અને મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
મોડી સાંજે વરસાદનું જોર ઘટતાં કોતરોના પાણી ધીમે-ધીમે ઓસરવાનું શરૂ થયું હતું. રસ્તા પરથી પાણી ઉતરતાં વાહનવ્યવહાર ફરી શરૂ કરવામાં આવ્યો હતો, જેના કારણે સ્થાનિક તંત્ર અને મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો.
હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી હોવાથી નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવા અને જરૂરી ન હોય તો પાણી ભરાયેલા માર્ગો પરથી પસાર ન થવા અપીલ કરવામાં આવી છે.
