ભરૂચ:
ભરૂચ-દહેજ માર્ગ પર આમદરા ગામ નજીક આજે કંપની કર્મચારીઓને લઈ જતી બસ અકસ્માતનો ભોગ બનતાં એક મોટી દુર્ઘટના ટળી હતી. જોશી ટ્રાવેલ્સની બસ કંપનીના કર્મચારીઓને લઈને દહેજ તરફ જઈ રહી હતી, ત્યારે અચાનક ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં બસ રોડની સાઇડમાં ઉતરી ગઈ હતી.
અકસ્માત સર્જાતાં બસમાં બેઠેલા કર્મચારીઓમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. જોકે, બસ પલટી ન જતાં તમામ કર્મચારીઓએ તાત્કાલિક બસમાંથી સલામત રીતે બહાર નીકળી ગયા હતા. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા નોંધાઈ નથી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને બસમાં સવાર કર્મચારીઓને મદદરૂપ બન્યા હતા. અકસ્માતને પગલે ભરૂચ-દહેજ માર્ગ પર થોડા સમય માટે વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો હતો.
પ્રાથમિક માહિતી મુજબ બસ રોડ પરથી નીચે ઉતરવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ઘટનામાં કોઈ જાનહાનિ ન થતાં બસમાં સવાર કર્મચારીઓ અને તેમના પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.
