ભરૂચ :
દહેજ વિસ્તારમાં અદાણી કંપની પાસે કોલસો ભરવા આવી રહેલી હાઈવા બેકાબૂ બની દિવાલ સાથે અથડાતાં ડ્રાઈવરનું ગંભીર ઈજાઓને કારણે મોત નીપજ્યું હતું. બનાવ અંગે દહેજ મરીન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
દહેજની જીએસીએલ ચોકડી નજીક શક્તિ કોમ્પ્લેક્સમાં રહેતા અને મૂળ ઉત્તર પ્રદેશના જોનપુરના વતની દુર્ગેશકુમાર રામચંદ્ર સોનકા અદાણી કંપનીમાં પેટા કોન્ટ્રાક્ટ હેઠળ ચાલતી જય માતાજી ટ્રાવેલ્સમાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવે છે. તેઓ નોકરી પર હાજર હતા ત્યારે અદાણી કંપનીના ટર્નિંગ પાસે લખીગામ તરફ કંપનીની દિવાલ સાથે કોઈ વાહન અથડાયાનો જોરદાર અવાજ સંભળાયો હતો. જેથી તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા.
ત્યાં પહોંચતાં અકસ્માતગ્રસ્ત હાઈવા તેમની ટ્રાવેલ્સની હોવાનું અને તેનો ડ્રાઈવર અવદેશકુમાર રામેશકુમાર પટેલ હોવાનું જાણવા મળ્યું હતું. અવદેશકુમાર હાલ હજીરાના ચામુંડા એસ્ટેટ ખાતે રહેતો હતો અને મૂળ મધ્યપ્રદેશનો વતની હતો. તે છેલ્લા બે મહિનાથી ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો.
અવદેશકુમાર હાઈવા-ડમ્પરમાં અદાણી કંપનીમાંથી કોલસો ભરી ભેંસલી ખાતે આવેલી રિલાયન્સ કંપની સુધી પહોંચાડવાના ફેરા મારતો હતો. બનાવના સમયે તે કંપનીમાં કોલસો ભરવા માટે આવી રહ્યો હતો. દરમિયાન કોઈ કારણસર સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં હાઈવા ટર્નિંગ પરથી સીપી કંપનીની દિવાલ સાથે ધડાકાભેર અથડાઈ હતી.
અકસ્મતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા ડ્રાઈવરને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે દહેજ મરીન પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
