ભરૂચ:
અષાઢી બીજ નિમિત્તે તા. 16 જુલાઈ 2026ના રોજ ભરૂચ શહેરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાનાર હોવાથી કસક સર્કલથી ઝાડેશ્વર ચોકડી સુધીના માર્ગ પર વાહન વ્યવહાર માટે અંશતઃ નિયંત્રણો લાદવામાં આવ્યા છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર.બી. ભોગાયતાએ ગુજરાત પોલીસ અધિનિયમ, 1951ની કલમ 33(1)(બી) હેઠળ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.
રથયાત્રા બપોરે 3:30 કલાકે શીતલ સર્કલથી શરૂ થઈ કસક સર્કલ, ઝાડેશ્વર રોડ, જ્યોતિનગર ટર્નિંગ, તુલસીધામ, સાંઈ મંદિર ચાર રસ્તા અને ઝાડેશ્વર બસ સ્ટેન્ડ થઈ કે.જી.એમ. સ્કૂલ ખાતે સાંજે 7 વાગ્યે પહોંચશે. ત્યાં પૂજા-અર્ચના અને આરતી બાદ રથયાત્રાનું વિસર્જન કરવામાં આવશે.
રથયાત્રાને પગલે તા. 16 જુલાઈએ બપોરે 3થી રાત્રે 8 વાગ્યા સુધી કસક સર્કલથી ઝાડેશ્વર ચોકડી તરફ જતો એક તરફનો માર્ગ વાહન વ્યવહાર માટે બંધ રહેશે. નાના વાહનો ઝાડેશ્વર ચોકડીથી કસક સર્કલ તરફ આવતા માર્ગ પર અવરજવર કરી શકશે.
આ સમયગાળા દરમિયાન કસક સર્કલથી ઝાડેશ્વર ચોકડી અને ઝાડેશ્વર ચોકડીથી કસક સર્કલ સુધી તમામ મોટા વાહનો, માલવાહક હેવી કોમર્શિયલ વાહનો, ખાનગી લક્ઝરી બસો અને મીની બસોની અવરજવર પર પ્રતિબંધ રહેશે. જોકે, સિટી બસ અને સ્કૂલ બસને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે.
પ્રતિબંધિત વાહનો માટે ઝાડેશ્વર ચોકડીથી નર્મદા ચોકડી થઈ એ.બી.સી. સર્કલ તરફના વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરી શકાશે. ટ્રાફિક અને જાહેર સલામતીને ધ્યાનમાં રાખી બંદોબસ્તમાં રહેલા પોલીસ અધિકારીઓ પરિસ્થિતિ અનુસાર વાહન વ્યવહાર ડાયવર્ટ કરી શકશે.
જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 131 હેઠળ શિક્ષાને પાત્ર બનશે, તેમ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેર કરાયેલા જાહેરનામામાં જણાવાયું છે.
