ભરૂચ:
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના એક ગામમાંથી સગીરા રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ જતાં તેના અપહરણની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ મામલે દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો દાખલ કરી સગીરાની શોધખોળ સહિતની વધુ તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી અનુસાર, વાગરા તાલુકાના એક ગામમાં રહેતા અને છૂટક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા વ્યક્તિની પત્ની ગત 13 જુલાઈના રોજ પેટ્રોલ પંપ પર સફાઈ કામ માટે ગઈ હતી. તે દરમિયાન પરિવારના નાના પુત્ર અને પુત્રી શાળાએ ગયા હતા, જ્યારે મોટી પુત્રી ઘરે જ હતી. પિતા ઘરમાં કામકાજમાં વ્યસ્ત હતા ત્યારે સગીરા ક્યાંક જતી રહી હતી. શરૂઆતમાં પરિવારજનોએ તે બહાર રમવા ગઈ હોવાનું માની ધ્યાન આપ્યું ન હતું.
સાંજે આશરે સાડા ચાર વાગ્યે માતા ઘરે પરત ફર્યા બાદ પુત્રી ઘરે ન હોવાનું જાણવા મળતાં પરિવારજનોએ આસપાસના વિસ્તારો તેમજ સગા-સંબંધીઓના ઘરે શોધખોળ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પરિવારના એક સગાએ જણાવ્યું હતું કે સગીરા તેમના ઘરે આવી હતી, પરંતુ બપોરે આશરે 12 વાગ્યે તેને જમવાનું બનાવવા માટે પોતાના ઘરે પરત મોકલી આપી હતી.
ત્યારબાદ પણ સગીરા ઘરે પહોંચી ન હોવાથી પરિવારજનોની ચિંતા વધી હતી. તમામ સંભવિત સ્થળોએ શોધખોળ કરવા છતાં કોઈ ભાળ ન મળતાં આખરે પરિવારજનોએ દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદના આધારે દહેજ પોલીસે સગીરાના અપહરણની આશંકાને ધ્યાનમાં રાખી ગુનો દાખલ કરી તેની શોધખોળ સહિતની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
