ભરૂચ: ઐતિહાસિક અને ધાર્મિક નગરી ભરૂચમાં 250 વર્ષથી નીકળતી ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રા બાદ એક વિવાદ સામે આવ્યો છે. રથયાત્રા પૂર્ણ થયા બાદ ભગવાન જગન્નાથજી, બલભદ્રજી અને દેવી સુભદ્રાજીની પ્રતિમાઓ મંદિરના ગર્ભગૃહમાં જોવા ન મળતાં ભક્તોમાં આશ્ચર્ય અને ચર્ચાનો માહોલ સર્જાયો હતો.
શરૂઆતમાં પ્રતિમાઓ ગુમ થઈ હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું હતું, જેના કારણે ભક્તોમાં ચિંતા અને હોબાળો મચ્યો હતો. બાદમાં માહિતી સામે આવી કે પ્રતિમાઓને સુરત ખાતે યોજાનારી ઇસ્કોનની રથયાત્રામાં ઉપયોગ માટે લઈ જવામાં આવી હોવાનું કહેવાઈ રહ્યું છે. આ વાત સામે આવતા સ્થાનિક ભક્તો અને ધાર્મિક વર્તુળોમાં નારાજગી જોવા મળી રહી છે.
આ મામલે મંદિરના વહીવટકર્તા ભાનુબેન ગોસ્વામીએ પ્રતિમાઓને ભરૂચ બહાર લઈ જવા સામે સખત વાંધો વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે 250 વર્ષ જૂની પરંપરા સાથે આ પ્રકારનો નિર્ણય યોગ્ય નથી. ભગવાનની પ્રતિમાઓ માત્ર ધાર્મિક પ્રતીક નહીં પરંતુ ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે અને આવી બાબતમાં તમામ સંબંધિત પક્ષોની સહમતી જરૂરી છે.
ભાનુબેન ગોસ્વામીએ પ્રશ્ન ઉઠાવતા જણાવ્યું કે, “ભગવાનની પ્રતિમાઓ કોઈ વસ્તુ કે મિલકત નથી કે જરૂર પડે ત્યારે અન્યત્ર મોકલી દેવાય. આજે જો પ્રતિમાઓ સુરત મોકલી છે તો આવતીકાલે મેઘરાજાની પ્રતિમા પણ કોઈ માંગશે તો શું આપી દેશો? આ ભરૂચના લોકોની આસ્થાનો વિષય છે.”
આ ઘટનાને લઈને ભરૂચના ધાર્મિક અને સામાજિક વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. ભક્તો દ્વારા પરંપરાનું જતન અને ધાર્મિક વિધિઓમાં પારદર્શિતા જાળવવાની માંગ ઉઠી રહી છે.
જોકે, પ્રતિમાઓ સુરત લઈ જવાના નિર્ણય અંગે ભોઈ પંચ અથવા સંબંધિત આયોજકો તરફથી સત્તાવાર સ્પષ્ટતા સામે આવી નથી. હવે આ સમગ્ર મામલે જવાબદાર પક્ષ શું સ્પષ્ટતા કરે છે અને પ્રતિમાઓને લઈને વિવાદનો અંત કેવી રીતે આવે છે તેના પર સૌની નજર મંડાઈ છે.
