વાંકલ :
સરકારી વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ, ઉમરપાડા (જિ. સુરત) ખાતે આચાર્ય પ્રા. સુરેશભાઈ જી. બાગુલ અને સંસ્કૃત વિભાગાધ્યક્ષ તથા કક્ષ સંયોજક પ્રા. ડૉ. જશુબેન એમ. પરમારની અધ્યક્ષતામાં ‘સંસ્કૃત કક્ષ’ના લોકાર્પણનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉમરપાડા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ શારદાબેન ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને મૂલ્યનિષ્ઠ શિક્ષણ, વ્યક્તિત્વ વિકાસ અને રાષ્ટ્ર નિર્માણમાં યુવાશક્તિના યોગદાન અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું.
આ પ્રસંગે પૂજ્ય મોરારી બાપુ દ્વારા સન્માનિત તાલુકાના નિવૃત્ત શિક્ષક ફૂલસિંગભાઈ વસાવા પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને સંસ્કૃત ભાષાના મહત્વ અને જીવનમૂલ્યો અંગે પ્રોત્સાહિત કર્યા હતા. કોલેજના આચાર્ય પ્રા. સુરેશભાઈ બાગુલે પણ વિદ્યાર્થીઓને પ્રેરક ઉદ્બોધન આપ્યું હતું.
કાર્યક્રમમાં કોલેજના 350થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમગ્ર કોલેજ પરિવારના સહિયારા પ્રયાસોથી કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
અંતમાં સંસ્કૃત વિભાગાધ્યક્ષ ડૉ. જશુબેન એમ. પરમારે આભારવિધિ વ્યક્ત કરી હતી. અલ્પાહાર અને રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.
