ભરૂચ:
ભરૂચ શહેરના શેરપુરા વિસ્તારની એક પરિણીતાએ પોતાના પતિ, સાસુ અને જેઠ સામે શારીરિક તેમજ માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ફરિયાદ મુજબ, મહિલાના લગ્ન મે-2025માં સમાજના રીત-રિવાજ મુજબ થયા હતા. લગ્નજીવન દરમિયાન શરૂઆતમાં બધું સામાન્ય રહ્યું હતું, પરંતુ બાદમાં પતિ અને સાસુ નાની-નાની બાબતોમાં ઝઘડા કરવા લાગ્યા હતા. સાસુ પતિને પત્ની વિરુદ્ધ ચઢામણી કરતા હોવાથી બંને વચ્ચે અવારનવાર બોલાચાલી થતી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
મહિલાનો આક્ષેપ છે કે સાસુ દ્વારા ઘરકામ બાબતે સતત મેણાં-ટોણાં મારવામાં આવતા હતા અને પતિના બીજા લગ્ન કરાવી દેવાની ધમકી પણ આપવામાં આવતી હતી. પતિ દારૂના નશામાં ઘરે આવી ગાળો બોલી મારઝૂડ કરતો હોવાનો પણ આરોપ મૂકાયો છે.
ફરિયાદ અનુસાર, ગર્ભાવસ્થા દરમિયાન તબિયત નાદુરસ્ત હોવાથી મહિલા પિયર ગઈ હતી. ત્યારબાદ દીકરીના જન્મ સમયે પતિ હોસ્પિટલ આવ્યો હતો. બાદમાં સમાધાન થતાં મહિલા ફરી સાસરે રહેવા ગઈ હતી, પરંતુ થોડા દિવસ બાદ ફરીથી ત્રાસ શરૂ થયો હતો. એક પ્રસંગે સાસુએ પંખો બંધ કરી લાત મારી હોવાનો પણ આરોપ છે.
પરિણીતાના જણાવ્યા મુજબ, 20 જૂન 2026ની રાત્રે પતિએ અપશબ્દો બોલી મારઝૂડ કરી હતી. બીજા દિવસે મહિલાની માતા અને અન્ય સગા ખબર લેવા સાસરે પહોંચ્યા ત્યારે તેમની સાથે પણ ગાળાગાળી અને ઝઘડો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મહિલા પોતાના પિયર પરત ફરી ગઈ હતી.
કાઉન્સેલિંગ દરમિયાન મહિલા પતિ સાથે રહેવા ઇચ્છતી ન હોવાનું જણાવતાં, પતિ, સાસુ અને જેઠ વિરુદ્ધ શારીરિક તથા માનસિક ત્રાસ અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ગુનો દાખલ કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
