ભરૂચ : ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ તેમના માતૃશ્રી કમલારાજ મકવાણાનો જન્મદિવસ ભરૂચ તાલુકાના ત્રાલસા ગામે આવેલા અસ્મિતા વિકાસ કેન્દ્રના દિવ્યાંગ બાળકો સાથે ઉજવી સમાજને સંવેદના અને સેવાભાવનો પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો.
આ પ્રસંગે એસપી મકવાણા પરિવાર સાથે અસ્મિતા વિકાસ કેન્દ્રની મુલાકાતે પહોંચ્યા હતા. સંસ્થા તરફથી તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. પરિવારજનોએ સંસ્થાની કામગીરી નિહાળી દિવ્યાંગ બાળકો સાથે સમય વિતાવ્યો અને તેમની સાથે આત્મીય સંવાદ કર્યો હતો.
માતૃશ્રી કમલારાજના જન્મદિવસ નિમિત્તે કેન્દ્રના દિવ્યાંગ બાળકોએ મધુર ગીત રજૂ કરીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. એસપી મકવાણાએ સંસ્થામાં બાળકોના સર્વાંગી વિકાસ માટે ચાલી રહેલી વિવિધ પ્રવૃત્તિઓ અંગે માહિતી મેળવી અને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.
ઉજવણીને વધુ યાદગાર બનાવવા માટે એસપી મકવાણા અને તેમના પરિવારે સંસ્થાના પટાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું તેમજ બાળકોને ભેટોનું વિતરણ કરીને તેમના ચહેરા પર સ્મિત ફેલાવ્યું હતું.
મકવાણા પરિવારે આ અનોખી ઉજવણી દ્વારા જરૂરિયાતમંદ અને વિશેષ બાળકો સાથે ખુશીઓ વહેંચવાનો સંદેશ આપ્યો હતો. અસ્મિતા વિકાસ કેન્દ્ર જેવી સંસ્થાઓ દિવ્યાંગ બાળકોના જીવનમાં આત્મવિશ્વાસ, શિક્ષણ અને ખુશીઓનું સિંચન કરી રહી હોવાનું તેમણે જણાવ્યું.
આ પ્રસંગે મહિલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ વૈશાલી આહિર, સંસ્થાના મનીષા ત્રિવેદી, ટ્રસ્ટી પ્રણવ ભટ્ટ સહિત સંસ્થાના આગેવાનો અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
