ભરૂચ :
ભરૂચ તાલુકાના લુવારા ગામના તળાવમાં મગર દેખાયાની ઘટનાએ ગ્રામજનોમાં ભય અને ચિંતાનો માહોલ સર્જ્યો છે. તળાવમાં મગરની હાજરી અંગેની માહિતી ગામમાં પ્રસરી જતાં લોકો સાવચેત બની ગયા છે.
ગામનું આ તળાવ રોજિંદા ઉપયોગ સાથે સંકળાયેલું હોવાથી ગ્રામજનો, પશુપાલકો તેમજ પશુઓની અવરજવર અહીં સતત રહેતી હોય છે. આવી સ્થિતિમાં મગર દેખાવાની ઘટનાને કારણે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્થાનિકોમાં ફફડાટ વ્યાપ્યો છે. ખાસ કરીને પશુઓને પાણી પીવડાવવા આવતા લોકો અને તળાવની આસપાસ રમતા બાળકોની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઘટનાની જાણ સ્થાનિકોએ તાત્કાલિક વન વિભાગને કરી મગરને સુરક્ષિત રીતે પકડી અન્ય યોગ્ય સ્થળે સ્થળાંતર કરવાની માંગ ઉઠાવી છે. ગ્રામજનોનું માનવું છે કે સમયસર કાર્યવાહી કરવામાં નહીં આવે તો માનવજીવન તેમજ પશુધન માટે જોખમ ઊભું થઈ શકે છે.
વન વિભાગ દ્વારા પણ મગરને રેસ્ક્યુ કરવામાં ન આવે ત્યાં સુધી ગ્રામજનોને તળાવ નજીક બિનજરૂરી અવરજવર ટાળવા, બાળકોને એકલા ન જવા દેવા તેમજ પશુઓને પાણી પીવડાવતી વખતે વિશેષ સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.
હાલ ગ્રામજનો વન વિભાગની કામગીરીની રાહ જોઈ રહ્યા છે અને મગરને વહેલી તકે સુરક્ષિત રીતે પકડી સ્થળાંતર કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.
