ભરૂચ:
ભરૂચના જીએનએફસી ટાઉનશિપ બ્રિજ પાસે રોંગ સાઇડેથી પૂરઝડપે આવેલી કાર બાઈકને ટક્કર મારતાં પિતા અને તેમની 11 વર્ષની પુત્રી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયાની ઘટના સામે આવી છે. અકસ્માત બાદ કારચાલક વાહન સ્થળ પર મૂકીને ફરાર થઈ ગયો હતો. જોકે સારવારનો ખર્ચ ઉઠાવવાની ખાતરી આપી સમાધાનનો પ્રયાસ કરાયો હતો, પરંતુ સમાધાન નહીં થતાં આખરે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.
પોલીસ ફરિયાદ મુજબ, વડદલા ગામ સ્થિત એકદંત સોસાયટીમાં રહેતા અને પોલીસ ખાતામાંથી નિવૃત્ત થયેલા કનુભાઈ ધુળાભાઈ પટેલના પુત્ર આશિષકુમાર પટેલ સુરતના હજીરા સ્થિત રિલાયન્સ કંપનીમાં છેલ્લા બે વર્ષથી કેમિસ્ટ તરીકે ફરજ બજાવે છે. તેઓ રોજ ભરૂચથી હજીરા અપ-ડાઉન કરે છે. ગત 11 જુલાઈના રોજ આશિષકુમારે પોતાની પેશન પ્રો મોટરસાયકલ ભરૂચ રેલવે સ્ટેશન પાર્કિંગમાં મૂકી નોકરી પર ગયા હતા.
સાંજે ફરજ પૂર્ણ કરી ઘરે પરત ફરતી વખતે તેઓ અમીજડાવ સોસાયટીમાંથી પોતાના સસરાના ઘરેથી 11 વર્ષીય પુત્રી નિષ્ઠાને સાથે લઈ વડદલા તરફ જઈ રહ્યા હતા. ત્યારે જીએનએફસી ટાઉનશિપ બ્રિજના પૂર્વ છેડે સામેથી રોંગ સાઇડમાં પૂરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલી સિલ્વર રંગની કાર (નંબર GJ-10-TY-3231) બાઈક સાથે ધડાકાભેર અથડાઈ હતી.
અકસ્માત એટલો ગંભીર હતો કે આશિષકુમાર અને તેમની પુત્રી નિષ્ઠા બંને રોડ પર ફંગોળાઈ ગયા હતા. આશિષકુમારને માથાના ભાગે ગંભીર ઇજા ઉપરાંત જમણા પગનું હાડકું તૂટી ગયું હતું, જ્યારે નિષ્ઠાના જમણા પગની જાંઘમાં ફ્રેક્ચર સહિત શરીરે અન્ય ઇજાઓ પહોંચી હતી. સ્થાનિકોની મદદથી 108 એમ્બ્યુલન્સ મારફતે બંનેને ભરૂચની હિલિંગ ટચ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર હાથ ધરવામાં આવી હતી.
અકસ્માતમાં બાઈકને પણ ભારે નુકસાન થયું હતું. ફરિયાદ મુજબ અકસ્માત સર્જનાર કારચાલક ઘટના બાદ કાર સ્થળ પર જ મૂકીને ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ કારના મેનેજર પ્રસાદ હોસ્પિટલમાં પહોંચ્યા હતા અને સારવારનો ખર્ચ ઉઠાવવાની ખાતરી આપતાં બંને પક્ષો વચ્ચે સમાધાનની ચર્ચા શરૂ થઈ હતી. જોકે બાદમાં સમાધાન નહીં થતાં કનુભાઈ પટેલે સમગ્ર ઘટનાની પોલીસમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે ફરિયાદના આધારે કારચાલક સામે ગુનો નોંધી અકસ્માતના સંજોગો અને ફરાર થયેલા ચાલક અંગે વધુ તપાસ હાથ ધરી છે.
