ભરૂચ જિલ્લામાં છેલ્લા બે દિવસથી અવિરત વરસી રહેલા ધોધમાર વરસાદે નેત્રંગ અને વાલિયા તાલુકામાં જનજીવનને અસર પહોંચાડી છે. સતત વરસાદના કારણે અનેક નદી-નાળાઓમાં નવા નીરની આવક નોંધપાત્ર રીતે વધી છે, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા અનેક સ્થળોએ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે.
વરસાદની સૌથી વધુ અસર નેત્રંગના પ્રખ્યાત ધાણીકુટ ધોધ ખાતે જોવા મળી હતી. પાણીનો પ્રવાહ અનેકગણો વધી જતાં ધોધે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ગર્જના સાથે ધસમસીને વહેતા ધોધે મનમોહક દૃશ્યો સર્જતાં પ્રકૃતિપ્રેમીઓ અને સ્થાનિક લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. વરસાદી માહોલ વચ્ચે ધોધના નયનરમ્ય દૃશ્યો જોવા માટે આસપાસના વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
બીજી તરફ, ભારે વરસાદને કારણે નદી-નાળાઓમાં પાણીની સપાટી સતત વધી રહી હોવાથી વહીવટી તંત્ર સતર્ક બન્યું છે. સંભવિત અકસ્માતોને ધ્યાનમાં રાખી નાગરિકોને ધોધ, નદી અને કાંઠાના વિસ્તારોમાં બિનજરૂરી અવરજવર ટાળવા, પાણીમાં ઉતરવા કે જોખમી સ્થળોએ સેલ્ફી લેવા જેવી પ્રવૃત્તિઓથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં પણ જિલ્લામાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેના પગલે જિલ્લા તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને જરૂરિયાત મુજબ સુરક્ષાત્મક પગલાં લેવામાં આવી રહ્યા છે.
