ભરૂચ : સંસદ પરિસરમાં સનાતન સંસ્કૃતિ, ભગવા વસ્ત્રો અને સાધુ-સંતોના કથિત અપમાનના વિરોધમાં ગુરુવારે ભરૂચમાં સનાતન સંત સમાજના બેનર હેઠળ વિરોધ રેલી યોજાઈ હતી. જિલ્લામાંથી મોટી સંખ્યામાં સંતો, મહંતો અને શ્રદ્ધાળુઓ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા.
વિરોધ રેલીની શરૂઆત નર્મદા એપાર્ટમેન્ટ નજીક આવેલા સંકટ મોચન હનુમાન મંદિર ખાતેથી કરવામાં આવી હતી. ત્યારબાદ સંતો અને શ્રદ્ધાળુઓએ સૂત્રોચ્ચાર સાથે જિલ્લા કલેક્ટર કચેરી સુધી કૂચ કરી હતી. રેલી દરમિયાન સનાતન ધર્મના સમર્થનમાં તેમજ દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે વિવિધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.
જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા બાદ સંત સમાજના પ્રતિનિધિમંડળે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. રજૂઆતમાં આ આવેદનપત્ર ભારતના રાષ્ટ્રપતિ સુધી પહોંચાડવાની માંગ કરવામાં આવી હતી.
આવેદનપત્રમાં સંત સમાજે આક્ષેપ કર્યો હતો કે સંસદ પરિસરમાં કેટલાક રાજકીય નેતાઓના કથિત કૃત્યથી સનાતન ધર્મ, ભગવા વસ્ત્રો અને સાધુ-સંતોની પરંપરાનું અપમાન થયું છે, જેના કારણે કરોડો સનાતનીઓની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે. સાથે જ રાજકીય લાભ માટે ભગવા વસ્ત્રોનો ઉપયોગ કરીને સંત સમાજની છબીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો પણ દાવો કરવામાં આવ્યો હતો.
સંત સમાજે આ મામલે સંડોવાયેલા લોકો સામે ગંભીર કલમો હેઠળ એફઆઈઆર નોંધવાની, કડક કાનૂની કાર્યવાહી હાથ ધરવાની તેમજ સંબંધિત સાંસદો સામે બંધારણીય જોગવાઈઓ મુજબ કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ઉપરાંત સંત સમાજ અને આશ્રમોને થયેલા કથિત આર્થિક નુકસાનની ભરપાઈ કરાવવાની પણ માંગ કરવામાં આવી હતી.
સંત સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે જો આ મુદ્દે તાત્કાલિક અને અસરકારક કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે. નોંધનીય છે કે રજૂઆતમાં કરવામાં આવેલા આક્ષેપો સંત સમાજ તરફથી કરવામાં આવ્યા છે અને સંબંધિત પક્ષનો પ્રતિસાદ પ્રાપ્ત થયો નથી.
