ભરૂચ:
ભરૂચ તાલુકાના નબીપુર ગામની રોકડ સ્ટ્રીટ ખાતે રહેતા મુબારક મુસા ભોચા ખેતીકામ કરે છે. તેઓ રાત્રિના આશરે દોઢ વાગ્યાના અરસામાં નેશનલ હાઈવે નં. 48 પર માચ પાટિયા નજીક આવેલી મેવાત હોટલ ખાતે નાસ્તો લેવા ગયા હતા.
દરમિયાન હોટલ પર હાજર લોકો પાસેથી તેમને જાણવા મળ્યું હતું કે, ભરૂચથી વડોદરા તરફ જતા માર્ગ પર કોઈ અજાણ્યા વાહનચાલકે એક વ્યક્તિને અડફેટે લીધી હતી. અકસ્માત બાદ અજાણ્યા વ્યક્તિનો દેહ અત્યંત ગંભીર અને કચડાયેલી હાલતમાં રોડ પર પડ્યો હોવાનું જાણવા મળતાં મુબારકભાઈ સ્થળ પર પહોંચ્યા હતા.
સ્થળ પર માનવદેહ અત્યંત વિકૃત અને કચડાયેલી હાલતમાં મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં નબીપુર પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મૃતકના દેહના જરૂરી અંશો એકત્ર કરી કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ અકસ્માત સર્જી અજાણી વ્યક્તિનું મોત નિપજાવી ઘટનાસ્થળેથી ફરાર થઈ જવા બદલ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સાથે જ મૃતકની ઓળખ મેળવવા માટે પોલીસે કવાયત હાથ ધરી છે.
