ડેડિયાપાડા: ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત ડેડિયાપાડા ગ્રામ પંચાયત ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રધ્વજની આન, બાન અને શાન સાથે યોજાયેલી આ યાત્રામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ, અધિકારીઓ, કર્મચારીઓ, યુવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.
તિરંગા યાત્રામાં તાલુકા પંચાયત પ્રમુખ પ્રેમિલાબેન વસાવા, મામલતદાર, ટીડીઓ, બાંધકામ સમિતિના ચેરમેન પંકજભાઈ સહિત જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો, અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
હાથમાં તિરંગો લઈને યાત્રામાં જોડાયેલા સહભાગીઓએ ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ’ના નારા લગાવતાં સમગ્ર ડેડિયાપાડા દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. યુવાનો અને ગ્રામજનોમાં પણ તિરંગા યાત્રાને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
યાત્રા દરમિયાન રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માન અને દેશપ્રેમની ભાવના વ્યક્ત કરવામાં આવી હતી. ‘હર ઘર તિરંગા’ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ દરેક ઘરમાં રાષ્ટ્રધ્વજ પ્રત્યે ગૌરવની ભાવના કેળવવા સાથે રાષ્ટ્રીય એકતા અને દેશભક્તિને વધુ મજબૂત બનાવવાનો છે.
ડેડિયાપાડામાં યોજાયેલી આ તિરંગા યાત્રાએ લોકોમાં દેશપ્રેમ, એકતા અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ પહોંચાડ્યો હતો. શિસ્તબદ્ધ રીતે યોજાયેલી યાત્રા દરમિયાન સમગ્ર વિસ્તારમાં ઉત્સાહ અને દેશભક્તિનો માહોલ છવાયો હતો.
