। ભરૂચ ।
ઝારખંડમાં જેપીએસસી અને જેએસએસસી પરીક્ષાઓમાં સામે આવેલી અનિયમિતતા અને ગેરરીતિઓના વિરોધમાં શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલાં વિદ્યાર્થીઓ પર પોલીસ દ્વારા કરવામાં આવેલાં લાઠીચાર્જના પડથા હવે ભરૂચમાં પણ જોવા મળ્યાં છે. ઝારખંડ પોલીસની કાર્યવાહીનો વિરોધ કરવા ભરૂચ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી) દ્વારા આજે વિરોધ પ્રદર્શન યોજાયું હતું.
ભરૂચની જીઈસી કોલેજની સામે યોજાયેલાં વિરોધ પ્રદર્શનમાં એબીવીપીના કાર્યકર્તાઓ તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં એકત્ર થયાં હતાં. વિદ્યાર્થીઓ પર થયેલાં લાઠીચાર્જ સામે રોષ વ્યક્ત કરી ઝારખંડ પોલીસની કાર્યવાહીનો વિરોધ કરવામાં આવ્યો હતો. એબીવીપી ભરૂચના કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે, પરીક્ષામાં અનિયમિતતા અને ગેરરીતિઓ સામે વિદ્યાર્થીઓ દ્વારા લોકશાહી ઢબે શાંતિપૂર્ણ રીતે અવાજ ઉઠાવવામાં આવી રહ્યો હતો. આવા શાંતિપૂર્ણ આંદોલન દરમિયાન વિદ્યાર્થીઓ પર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવા યોગ્ય નથી ઝારખંડમાં વિદ્યાર્થીઓ સાથે થયેલી પોલીસ કાર્યવાહીના વિરોધમાં ભરૂચમાં યોજાયેલાં આ પ્રદર્શનમાં કાર્યકર્તાઓએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. સાથે જ એબીવીપી ભરૂચે તમામ વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓના ન્યાય માટેની લડાઈમાં જોડાવા માટે અપિલ કરી હતી.
