વાંકલ: માંગરોળ તાલુકાના આંબાવાડી ગામે દેશની સેવા કરી નિવૃત્ત થયેલા પૂર્વ CRPF જવાન ભરતભાઈ ચૌધરીના ગૃહાંગણે દુર્લભ ગણાતું ‘બ્રહ્મકમળ’ ખીલી ઊઠતાં પરિવાર સહિત સમગ્ર ગામમાં આનંદની લાગણી પ્રસરી છે.
ભારતીય સંસ્કૃતિ અને ધાર્મિક માન્યતાઓમાં બ્રહ્મકમળને પવિત્ર અને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. સામાન્ય રીતે મોડી રાત્રિના સમયે ખીલતું આ પુષ્પ તેની સફેદ રંગની મનમોહક પાંખડીઓ અને આકર્ષક સૌંદર્ય માટે જાણીતું છે. રાત્રિના અંધકારમાં ધીમે ધીમે ખીલતું આ ફૂલ થોડા કલાકો બાદ કરમાઈ જતું હોવાથી તેને જોવા માટે લોકોમાં વિશેષ ઉત્સુકતા રહે છે.
આંબાવાડી ગામે ભરતભાઈ ચૌધરીના ઘરે બ્રહ્મકમળ ખીલ્યાના સમાચાર ફેલાતા જ સગાં-સંબંધીઓ તેમજ આસપાસના ગ્રામજનોમાં પણ ભારે ઉત્સુકતા જોવા મળી હતી. મોટી સંખ્યામાં લોકો તેમના ઘરે પહોંચી દુર્લભ પુષ્પને નિહાળ્યું હતું.
પૂર્વ CRPF જવાનના ગૃહાંગણે ખીલેલું આ સુંદર પુષ્પ હાલ આંબાવાડી ગામ તેમજ આસપાસના વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. બ્રહ્મકમળની એક ઝલક મેળવવા માટે લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
