ભરૂચ: 1947ના ભારતના વિભાજન દરમિયાન સર્જાયેલી કરુણ ઘટનાઓ અને તેમાં જીવ ગુમાવનારા લોકોની સ્મૃતિને અંજલિ આપવા 14 ઓગસ્ટના રોજ ભરૂચમાં વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.
ભરૂચની જે.પી. કોલેજના ઓડિટોરિયમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વિભાજનના સમયગાળા દરમિયાન લોકો પર વીતેલી પીડા, વેદના અને સંઘર્ષને નવી પેઢી સુધી પહોંચાડવાના હેતુથી ડોક્યુમેન્ટરીનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિદ્યાર્થીઓ દ્વારા વિભાજન સમયની પરિસ્થિતિ અને માનવીય સંવેદનાઓને ઉજાગર કરતું નાટક રજૂ કરવામાં આવ્યું હતું, જેને નિહાળી ઉપસ્થિતો ભાવુક બન્યા હતા.
કાર્યક્રમ દરમિયાન 1947ના ભારતના વિભાજનમાં જીવ ગુમાવનાર તેમજ અસહ્ય પરિસ્થિતિનો સામનો કરનાર લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કલેક્ટર ડો. નવનાથ ગવ્હાણ, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જિલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણા, પ્રાંત અધિકારી મનીષા મનાણી, ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, રમત-ગમત અધિકારી રાજનસિંહ ગોહિલ સહિતના અધિકારીઓ, જે.પી. કોલેજના આચાર્ય-પ્રાધ્યાપકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વિભાજનના ઇતિહાસને માત્ર ભૂતકાળની ઘટના તરીકે નહીં, પરંતુ તે સમયની માનવીય પીડા, સંઘર્ષ અને બલિદાનમાંથી નવી પેઢીએ બોધ લેવો જોઈએ તેવા સંદેશ સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
