નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખોપી ગામે જંગલ જમીનના પ્રશ્ને છેલ્લા 24 દિવસથી ચાલી રહેલા આદિવાસી ખેડૂતોના ધરણાનો આખરે અંત આવ્યો છે. રાજ્યના વન મંત્રી પ્રવીણ માળી, નર્મદા જિલ્લા પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલ તથા ભરૂચના સાંસદ મનસુખ વસાવા ધરણા સ્થળે પહોંચ્યા હતા. ખેડૂતો સાથે ચર્ચા કર્યા બાદ સરકાર તરફથી પ્રશ્નના ઉકેલ માટે જરૂરી વહીવટી પ્રક્રિયા હાથ ધરવાની ખાતરી આપવામાં આવતા આંદોલન સમેટાયું હતું.
ધરણા સ્થળે મંત્રીઓ અને સાંસદે ખેડૂતોની રજૂઆતો સાંભળી હતી. જંગલ જમીન સંબંધિત પ્રશ્નોના ઉકેલ માટેની પ્રક્રિયા પૂર્ણ કરવામાં 3થી 4 મહિનાનો સમય લાગી શકે તેવી સરકાર તરફથી ખાતરી આપવામાં આવી હતી. જેના પગલે હાલ ખેડૂતોને સરકારની કાર્યવાહી અને અંતિમ નિર્ણયની રાહ જોવી પડશે.
આંદોલનના સમાપન પ્રસંગે મંત્રીઓએ ખોપી ગામના સરપંચ ઈશ્વરભાઈને પાણી પીવડાવી પારણા કરાવ્યા હતા. આમ 24 દિવસથી ચાલી રહેલા ધરણાનો સત્તાવાર અંત આવ્યો હતો.
વન મંત્રી પ્રવીણ માળીએ ખેડૂતોને ખેડાણના મુદ્દે આગામી દિવસોમાં રાહ જોવાની અપીલ કરી હતી. જ્યારે સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, સાગબારા તાલુકાના ખેડૂતોના આંદોલન બાદ રાજ્યમાં પેન્ડિંગ રહેલા અંદાજે 60થી 70 હજાર દાવા-અરજીઓ અંગે પણ સરકાર દ્વારા મંજૂરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
દરમિયાન 24 દિવસથી ધરણા પર બેઠેલા ભાજપના મહિલા આગેવાન લીલાબેન વસાવાની તબિયત લથડતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. તેમની સ્થિતિ અંગે વાત કરતી વખતે ખોપી ગામના સરપંચ ઈશ્વરભાઈ ભાવુક બન્યા હતા.
ધરણા સમેટાયા બાદ કોંગ્રેસ પ્રવક્તા સંદીપસિંહ મંગરોલા, BTP આગેવાન મહેશ વસાવા સહિત વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો અને સ્થાનિક આગેવાનોએ સરકારના નિર્ણયને આવકાર્યો હતો.
24 દિવસના આંદોલન બાદ હાલ પૂરતો વિવાદ શમ્યો છે, પરંતુ હવે ખરી કસોટી સરકારની છે. ખેડૂતોને આપવામાં આવેલા આશ્વાસન મુજબ આગામી 3થી 4 મહિનામાં વહીવટી પ્રક્રિયા કેટલી ઝડપથી પૂર્ણ થાય છે અને જમીન તથા ખેડાણના પ્રશ્નોનો વાસ્તવિક ઉકેલ ક્યારે આવે છે, તેના પર હવે સૌની નજર રહેશે.
