ભરૂચ:
ભરૂચ જિલ્લાના કરજણ તાલુકાના મોટી કોરલ ગામ ખાતે નર્મદા નદી પર ભાલોદ અને મોટી કોરલને જોડતા મહત્વકાંક્ષી બ્રિજનું ખાતમુહૂર્ત વિધિવત રીતે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કરજણના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ, ઝઘડિયાના ધારાસભ્ય રીતેશભાઈ વસાવા તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસંદીયાના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ સાથે પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
અંદાજે રૂપિયા 170 કરોડના ખર્ચે બનનાર આ બ્રિજ આગામી ત્રણ વર્ષમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. કાર્યક્રમમાં ભાજપના અગ્રણીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ખાતમુહૂર્ત બાદ ધારાસભ્યોએ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ તથા કોન્ટ્રાક્ટર સાથે સમીક્ષા બેઠક યોજી હતી અને કામગીરી સમયસર પૂર્ણ થાય તે માટે જરૂરી સૂચનાઓ આપી હતી.
આ બ્રિજ કાર્યરત બન્યા બાદ રાજપારડી, ભાલોદ, વણાકપુર, રૂંધે, ટોઠીદરા, ઓર, પટાર, કૃષ્ણપુરી અને વઢવાણા સહિતના ગામોના હજારો નાગરિકોને સીધો લાભ મળશે.
વર્ષો જૂની માંગણી પૂર્ણ થતા સ્થાનિક આગેવાનો અને પ્રજાજનોએ લોકપ્રતિનિધિઓનો આભાર વ્યક્ત કર્યો હતો. આ બ્રિજ બનવાથી કરજણ અને ઝઘડિયા વિધાનસભા વિસ્તારો વચ્ચેનું અંતર ઘટશે તેમજ આર્થિક અને સામાજિક ગતિવિધિઓને વેગ મળશે.
