ભરૂચ :
વેસ્ટર્ન રેલ્વે દ્વારા નવી લૂપ લાઇન નાખવાની કામગીરી હાથ ધરાતા ભરૂચ જિલ્લાના LHS No.26 A બ્રિજ વિસ્તારનો માર્ગ આગામી 30 દિવસ માટે તમામ પ્રકારના વાહન વ્યવહાર માટે અસ્થાયી રીતે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
આ અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ પાર્થ જયસ્વાલ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ગુજરાત પોલીસ અધિનિયમ, 1951ની કલમ-33 (1) (બી) હેઠળ મળેલી સત્તાના આધારે આ આદેશ અમલમાં મુકાયો છે.
રસ્તો બંધ રહેવાને કારણે જનતાને મુશ્કેલી ન પડે તે માટે વહીવટી તંત્ર દ્વારા બે વૈકલ્પિક માર્ગ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં
- ઊંચેડીયાથી રાણીપુરા ગામના બસ સ્ટેન્ડ મારફતે મેઈન રોડ તરફ વાહનો ડાયવર્ટ કરાશે
- તેમજ ઊંચેડીયાથી રાણીપુરા, મોટા સાંજા, મોહન ફળીયા થઈ ઝઘડિયા તરફ વાહન વ્યવહાર ચાલુ રાખી શકાશે
જાહેરનામાનો ભંગ કરનાર સામે ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-131 હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ હુકમનો અમલ કરાવવા માટે પોલીસ હેડ કોન્સ્ટેબલથી ઉપરના દરજ્જાના અધિકારીઓને સત્તા આપવામાં આવી છે.
વહીવટી તંત્ર દ્વારા સ્થાનિક રહીશો અને વાહનચાલકોને આ સમયગાળા દરમિયાન સહકાર આપવા તેમજ જાહેર કરાયેલા વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
આ માહિતી જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરી દ્વારા જાહેર કરાયેલી અખબારી યાદીમાં જણાવવામાં આવી છે.
