સી ડિવિઝન પોલીસની ત્વરિત કાર્યવાહીથી પરિવારને સોપાયો બાળક
ભરૂચ :
ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાંથી ગુમ થયેલ 13 વર્ષીય બાળકને ભરૂચ “સી” ડિવિઝન પોલીસ દ્વારા મુંબઈના પનવેલ રેલવે સ્ટેશન પરથી સલામત રીતે શોધી કાઢી તેના પરિવારને સોપવામાં આવ્યો છે.
પોલીસ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ, ઝાડેશ્વર સ્થિત શિવાલિક એવન્યુમાં રહેતા શિવપ્રકાશ ઉમાશંકર દ્વિવેદીએ તા. 21 માર્ચે ફરિયાદ નોંધાવી હતી કે તેમનો પુત્ર નવનાયક (ઉ.વ.13) સાંજે મિત્રો પાસે “મુંબઈ જાઉં છું” કહી ઘરેથી નીકળી ગયો હતો અને ત્યારબાદ ક્યાંય મળી આવ્યો નહોતો.
ફરિયાદ મળતા જ પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સોસાયટી, બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશનના CCTV કેમેરા ચેક કરતાં બાળક ભરૂચ રેલવે સ્ટેશન પરથી મુંબઈ જતી ટ્રેનમાં બેસતો જોવા મળ્યો હતો.
ત્યારબાદ પોલીસની ટીમ મુંબઈ તરફ રવાના કરવામાં આવી હતી અને રેલવે પોલીસ સાથે સંકલન સાધીને તપાસ આગળ ધપાવવામાં આવી હતી. તપાસ દરમિયાન બાળક પનવેલ રેલવે સ્ટેશન પર ઉતર્યો હોવાનું જાણવા મળતાં ત્યાંના CCTV ફૂટેજના આધારે તેને શોધી કાઢવામાં સફળતા મળી હતી.
પોલીસે ગણતરીના સમયમાં બાળકને શોધી કાઢી તેના માતા-પિતાને સોપતા પરિવારજનો ભાવવિભોર થઈ પોલીસની કામગીરીની પ્રશંસા કરી હતી.
આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એન.આર. ચૌધરી, પી.એસ.આઈ. એ.એન. ચૌધરી અને સર્વેલન્સ ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી.
આ બનાવમાં ભરૂચ “સી” ડિવિઝન પોલીસે ત્વરિત અને અસરકારક કામગીરી કરીને ફરી એકવાર “પોલીસ પ્રજાનો મિત્ર” હોવાનો વિશ્વાસ મજબૂત કર્યો છે.
