ચૈત્ર સુદ અગિયારસના પાવન દિવસે યોજાયેલા આ ધાર્મિક કાર્યક્રમમાં ભક્તો ઉમટ્યાં
ભરૂચ:
ભરૂચ તાલુકાના જુના તવરા ગામે આવેલ શ્રી ચિંતનાથ મહાદેવ મંદિર ખાતે સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા માતાજીના સમૂહ જવારાની વિધિવત સ્થાપના કરવામાં આવી હતી. ચૈત્ર સુદ અગિયારસના પાવન દિવસે યોજાયેલા આ ધાર્મિક કાર્યક્રમમાં ગામના મોટી સંખ્યામાં ભક્તોએ ભક્તિભાવ સાથે હાજરી આપી હતી.
મંદિરના પટાંગણમાં યોજાયેલા આ સમૂહ જવારા કાર્યક્રમમાં કુલ ૨૮ જોડાઓએ ભાગ લીધો હતો. તમામ જોડાઓએ પરંપરાગત રીત-રિવાજ અનુસાર માતાજીના જવારાની સ્થાપના કરી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું હતું.
આગામી પાંચ દિવસ સુધી સવાર અને સાંજે માતાજીના જવારાનું નિયમિત પૂજન-અર્ચન કરવામાં આવશે. ચૈત્ર સુદ પૂર્ણિમા, ગુરુવારના દિવસે વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બપોરે ૨ વાગ્યે ગ્રહશાંતિ પૂજા, સાંજે ૪ વાગ્યે શ્રીફળ હવન અને ત્યારબાદ સાંજે ૫ વાગ્યે માતાજીની ભવ્ય શોભાયાત્રા યોજાશે. આગળ સાંજે ૬ વાગ્યે મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવશે, જ્યારે રાત્રે ૯ વાગ્યે રાસ-ગરબા સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે, જેમાં ગામજનો મોટી સંખ્યામાં જોડાશે તેવી શક્યતા છે.આ ઉપરાંત, શુક્રવારે સવારે ૮ વાગ્યે માતાજીના જવારાનું પવિત્ર નર્મદા નદી માં વિધિવત વિસર્જન કરવામાં આવશે.
આ સમગ્ર કાર્યક્રમને લઈને ગામજનોમાં ભારે ઉત્સાહ અને ધાર્મિક ઉમંગ જોવા મળી રહ્યો છે. આયોજકો દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે વિશેષ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.
