જયેન્દ્રપુરી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે યોજાયો લોન મેળો, સરળ શરતો પર લોન ઉપલબ્ધ
ભરૂચ.
ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા સામાન્ય નાગરિકોને તેમની નાની જરૂરિયાતો તેમજ સ્વરોજગાર માટે સરળતાથી લોન મળી રહે તે હેતુસર જયેન્દ્રપુરી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
પોલીસ વિભાગ દ્વારા છેલ્લા કેટલાક સમયથી વ્યાજખોરી સામે સક્રિય ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. વ્યાજખોરોના ચક્રમાંથી લોકોને બહાર લાવવા જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા તેમજ અનેક ફરિયાદોના આધારે વ્યાજખોરો સામે કાયદેસર કાર્યવાહી પણ કરવામાં આવી છે.
આ ઝુંબેશને વધુ અસરકારક બનાવવા પોલીસ વિભાગે બેંકો સાથે સંકલન કરીને લોન મેળાનું આયોજન કર્યું હતું, જેથી સામાન્ય નાગરિકોને કાયદેસર અને સરળ શરતો પર નાણાકીય સહાય મળી શકે.
લોન મેળામાં વિવિધ બેન્કોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા અને પ્રધાનમંત્રી મુદ્રા યોજનાઅંતર્ગત લોન ઈચ્છુકોને ઓછી વ્યાજદર પર લોન, રાહત દરે પ્રોસેસિંગ ફી, કાર્યકારી મૂડી લોન તેમજ મુદ્રા કાર્ડ જેવી સુવિધાઓ વિશે માર્ગદર્શન અને સહાય પૂરી પાડવામાં આવી હતી.
પોલીસ વિભાગની આ પહેલને લોકોમાં સારો પ્રતિસાદ મળ્યો હતો અને વ્યાજખોરીના વિકલ્પ તરીકે કાયદેસર બેંકિંગ વ્યવસ્થાની તરફ લોકોનું માર્ગદર્શન કરવામાં આવ્યું હતું.
