ભરૂચ તાલુકાના દેરોલ ગામે આવેલ ચુડેલ માસી અને ભુમમામાનાના મંદિરે વિશેષ ધાર્મિક પ્રસંગે ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાવન પ્રસંગે ગામ તેમજ આજુબાજુના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. આશરે 800થી વધુ ભક્તોએ પ્રસાદરૂપે જમણવારનો લાભ લઈ ધાર્મિક એકતા અને ભક્તિનો અનોખો માહોલ સર્જ્યો હતો.
મંદિર પરિસરમાં સવારે થી જ ભક્તોની અવરજવર શરૂ થઈ ગઈ હતી. સેવાભાવી યુવાનો અને ગામજનો દ્વારા ભંડારાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં સૌએ સહભાગી બની સેવા આપી હતી. ભક્તોને સુવ્યવસ્થિત રીતે બેસાડી પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું, જેથી સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સુચારૂ રીતે પૂર્ણ થયો હતો.
સાંજ પડતાં જ મંદિર પરિસર ભક્તિમય બની ગયું હતું. રાત્રિના સમયે ભજન-કીર્તનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સ્થાનિક કલાકારો અને ભજન મંડળીઓએ ભક્તિ ગીતો ગાઈને માહોલને વધુ પાવન બનાવ્યો હતો. ભક્તો પણ ઉત્સાહપૂર્વક ભજનમાં જોડાઈ ભક્તિમાં લીન બની ગયા હતા.
આ સમગ્ર આયોજન ગામની એકતા, સહકાર અને ધાર્મિક શ્રદ્ધાનું સુંદર પ્રતિબિંબ બની રહ્યું હતું. આયોજન સમિતિ અને સેવાભાવી લોકોએ કાર્યક્રમને સફળ બનાવવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
