ભરૂચ :
ભરૂચ શહેરમાં પાણી પુરવઠા સંબંધિત કામગીરીને કારણે જાહેર કરાયેલા શટડાઉન મુદ્દે કોંગ્રેસના કાઉન્સિલર સમશાદઅલી સૈયદ દ્વારા ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. ઈદ-ઉલ-અઝહાના પવિત્ર તહેવાર પૂર્વે પાણી પુરવઠામાં કાપ મૂકવાનો નિર્ણય સ્થગિત રાખવાની માંગ ઉઠાવવામાં આવી છે.
ભરૂચ નગરપાલિકા દ્વારા જાહેર કરાયેલા પ્રેસનોટ મુજબ સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા મીયાગામ બ્રાંચ કેનાલ અને અમલેશ્વર બ્રાંચ કેનાલના રીપેરીંગ કામ માટે તા. 24/05/2026 થી તા. 15/06/2026 સુધી શટડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન શહેરમાં દિવસમાં માત્ર એક જ વખત પાણી પુરવઠો આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.
આ અંગે સમશાદઅલી સૈયદે રજૂઆતમાં જણાવ્યું છે કે તા. 28/05/2026 ના રોજ ઈદ-ઉલ-અઝહાનો પવિત્ર તહેવાર હોવાથી મુસ્લિમ સમાજમાં પાણીની વિશેષ જરૂરિયાત રહેતી હોય છે. તહેવાર દરમિયાન પાણીનો વપરાશ સામાન્ય દિવસો કરતાં વધુ રહેતો હોવાથી દિવસમાં માત્ર એક વખત પાણી આપવાની વ્યવસ્થા અનેક વિસ્તારોના નાગરિકો માટે મુશ્કેલી સર્જી શકે છે.
તેમણે જનહિત અને ધાર્મિક લાગણીઓને ધ્યાનમાં રાખી કેનાલ રીપેરીંગ અને શટડાઉન કામગીરી ઈદ બાદ શરૂ કરવામાં આવે તેવી માંગ કરી છે, જેથી શહેરના લોકોને અનાવશ્યક હાલાકીનો સામનો ન કરવો પડે.
સમશાદઅલી સૈયદે વધુમાં જણાવ્યું હતું કે, આજે કચેરી બંધ હોવાથી નગરપાલિકા તંત્ર સાથે ટેલિફોનિક વાતચીત કરી રજૂઆત વૉટ્સએપ મારફતે મોકલવામાં આવી છે અને સોમવારે રૂબરૂ મળી વિસ્તૃત રજૂઆત પણ કરવામાં આવશે.
