ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના જનરલ સેક્રેટરી સંદીપ માંગરોળા એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા બહાર પાડવામાં આવેલા નવા ગવર્નન્સ નિયમોના અમલ અંગે રાજ્ય સરકાર અને સહકારી વિભાગ સામે સવાલો ઉઠાવ્યા છે. તેમણે માંગ કરી છે કે RBI ના સુધારેલા નિયમો મુજબ ગેરલાયક ઠરતા તમામ ડિરેક્ટરોને તાત્કાલિક હોદ્દા પરથી દૂર કરવામાં આવે.
સંદીપ માંગરોળાએ જણાવ્યું હતું કે RBI દ્વારા તા. 25 મે, 2026 ના રોજ જાહેર કરાયેલા “Reserve Bank of India (Rural Co-operative Banks – Governance) Amendment Directions, 2026” મુજબ રાજ્ય અને જિલ્લા સહકારી બેંકોમાં લાંબા સમયથી હોદ્દા પર રહેલા ડિરેક્ટરો સામે કાર્યવાહી ફરજિયાત બની છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે RBI એ પોતાના દિશાનિર્દેશોમાં સ્પષ્ટ નોંધ્યું છે કે કેટલાક ડિરેક્ટરો ટૂંકા ગાળાના રાજીનામા અથવા અન્ય ટેકનિકલ ઉપાયો અપનાવી કાયદામાં નિર્ધારિત કાર્યકાળની મર્યાદાને બાયપાસ કરી રહ્યા હતા. RBI ના મતે આ પ્રકારની પ્રવૃત્તિઓ કાયદાની ભાવના તેમજ સારા શાસનના સિદ્ધાંતો વિરુદ્ધ છે.
તેમણે જણાવ્યું હતું કે Banking Laws (Amendment) Act, 2025 મુજબ કોઈપણ ડિરેક્ટરનો સતત કાર્યકાળ મહત્તમ 10 વર્ષ સુધી મર્યાદિત રાખવામાં આવ્યો છે. સાથે જ 10 વર્ષ પૂર્ણ થયા બાદ તે જ બેંકમાં ફરી ડિરેક્ટર તરીકે નિયુક્ત થવા માટે ઓછામાં ઓછો 3 વર્ષનો “Cooling-Off Period” ફરજિયાત રાખવામાં આવ્યો છે.
સંદીપ માંગરોળાએ આક્ષેપ કર્યો હતો કે ગુજરાતની ભરૂચ, સુરત, અમદાવાદ સહિત અનેક સહકારી બેંકોમાં એવા ડિરેક્ટરો હજુ પણ હોદ્દા પર ચાલુ છે, જેઓ RBI ના સુધારેલા નિયમો મુજબ ગેરલાયક ઠરે છે. તેમણે ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના અરૂણસિંહ રણા સામે પણ કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે રાજ્યભરમાં આશરે 14 જેટલા ડિરેક્ટરોને હોદ્દા છોડવા પડી શકે છે.
આ ઉપરાંત તેમણે દાવો કર્યો હતો કે રાજ્યના કેટલાક મોટા રાજકીય આગેવાનો પણ નવા નિયમોની જોગવાઈઓના કારણે સહકારી બેંકોના ડિરેક્ટર પદ પરથી દૂર થઈ શકે છે. જેમાં દિલીપ સંઘાણી, જયેશ રાદડિયા, શંકરભાઈ ચૌધરી અને અજય પટેલ સહિતના નામોનો સમાવેશ થાય છે.
સંદીપ માંગરોળાએ જણાવ્યું હતું કે આ મામલે તેમણે ગુજરાત રાજ્યના સહકારી મંડળીઓના રજીસ્ટ્રાર સમક્ષ સત્તાવાર રજૂઆત કરી છે અને રાજ્યની તમામ સહકારી બેંકોના ડિરેક્ટરોના કાર્યકાળની તાત્કાલિક સમીક્ષા કરી ગેરલાયક ઠરતા તમામ ડિરેક્ટરોને હોદ્દા પરથી દૂર કરવાની માંગ કરી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે થાપણદારોના હિતોનું રક્ષણ, પારદર્શિતા અને સહકારી ક્ષેત્રમાં સારા શાસનની સ્થાપના માટે રાજ્ય સરકાર અને સહકારી વિભાગે તાત્કાલિક પગલાં લેવા જરૂરી છે. જો યોગ્ય સમયમર્યાદામાં કાર્યવાહી કરવામાં નહીં આવે તો કાનૂની તેમજ જાહેર હિતની અન્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.
