“વેપાર અને વિદેશ નીતિની નિષ્ફળતાનો બોજ ખેડૂતો પર ન નાખવો જોઈએ”
ભરૂચ :
ભારત સરકાર દ્વારા કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાનો તેમજ તેને વધુ ત્રણ મહિના સુધી લંબાવવાનો લેવાયેલ નિર્ણય દેશના લાખો કપાસ ઉત્પાદક ખેડૂતોના હિતો વિરુદ્ધ હોવાનું જણાવી કોંગ્રેસ અગ્રણી સંદીપ માંગરોલાએ કેન્દ્ર સરકારની નીતિ પર આકરા પ્રહાર કર્યા છે.
સંદીપ માંગરોલાએ જણાવ્યું હતું કે, ગુજરાત સહિત સમગ્ર દેશમાં કપાસના ખેડૂતો પહેલેથી જ ઉત્પાદન ખર્ચમાં વધારો, હવામાનની અનિશ્ચિતતા અને બજારમાં ભાવના ઉતાર-ચઢાવ જેવી ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આવા સમયમાં વિદેશી કપાસને સરળતાથી દેશમાં પ્રવેશ આપવાથી સ્થાનિક ખેડૂતોને પોતાના પાકના યોગ્ય ભાવ મેળવવામાં ભારે મુશ્કેલી ઊભી થશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર જો ટેરિફ યુદ્ધ અને આંતરરાષ્ટ્રીય વેપારની પડકારજનક પરિસ્થિતિનો સામનો કરવા માંગતી હોય તો તેનો બોજ ખેડૂતોના ખભા પર નાખવો યોગ્ય નથી. કપડા ઉદ્યોગને મદદ કરવાની જરૂર હોય તો સરકાર પાસે અન્ય વિકલ્પો ઉપલબ્ધ છે, પરંતુ ખેડૂતોના હિતોની કિંમત પર કોઈ એક ઉદ્યોગને લાભ પહોંચાડવાનો પ્રયાસ સ્વીકાર્ય નથી.
સંદીપ માંગરોલાએ કેન્દ્ર સરકારને આ નિર્ણય પર તાત્કાલિક પુનર્વિચાર કરવાની માંગ કરી હતી. સાથે જ ખેડૂતોના સંગઠનો સાથે ચર્ચા કરી કપાસ ઉત્પાદકોના હિતોનું રક્ષણ થાય તેવી નીતિ અપનાવવાની અપીલ પણ કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે, દેશનો અન્નદાતા અને કપાસ ઉત્પાદક ખેડૂત નબળો પડશે તો તેની સીધી અસર સમગ્ર અર્થવ્યવસ્થા પર પડશે. ખેડૂતોને ન્યાય મળે, કપાસના યોગ્ય ભાવ મળે અને તેમની આવક સુરક્ષિત રહે તે માટે સરકાર તાત્કાલિક અસરથી યોગ્ય પગલાં ભરે તેવી માંગ ઉઠાવવામાં આવી છે.
