ભરૂચ
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ની ભરૂચ પ્રાદેશિક કચેરી દ્વારા નિવૃત્ત થતા કર્મચારીઓને નિવૃત્તિના દિવસે જ પેન્શન પેમેન્ટ ઓર્ડર (PPO) વિતરણ કરવાની વિશેષ પહેલ હાથ ધરવામાં આવી હતી. ૨૯ મે ૨૦૨૬ના રોજ યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ કંપનીઓના કુલ ૭ કર્મચારીઓને નિવૃત્તિના દિવસે જ PPO એનાયત કરવામાં આવ્યા હતા.
આ પહેલ અંતર્ગત જી.એન.એફ.સી. લિમિટેડ, ડેક્કન ફાઇન કેમિકલ, શ્રી ગણેશ ખાંડ ઉદ્યોગ તેમજ આર.પી.જી. લાઇફ સાયન્સના નિવૃત્ત કર્મચારીઓને સમયસર પેન્શન સુવિધાનો લાભ આપવામાં આવ્યો હતો.
EPFO દ્વારા નિવૃત્ત સભ્યોને વિલંબ વિના પેન્શન લાભ મળી રહે તેમજ તેમની સામાજિક સુરક્ષા અને જીવનધોરણમાં સરળતા આવે તે હેતુસર આ કામગીરી કરવામાં આવી હોવાનું જણાવાયું હતું.
પ્રાદેશિક કચેરી, ભરૂચ ખાતે યોજાયેલા PPO વિતરણ કાર્યક્રમમાં એપીએફસી અનિલ શર્મા, એપીએફસી અખિલેશ શર્મા તથા એકાઉન્ટ ઓફિસર ઓમકાર ઠાકુર ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન નિવૃત્ત સભ્યોને ડિજિટલ પેન્શન સેવાઓ, ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ સબમિટ કરવાની પ્રક્રિયા તેમજ EPFOની વિવિધ પેન્શન સંબંધિત સુવિધાઓ અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.
ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળ કાર્યરત ભરૂચ EPFO પ્રાદેશિક કચેરી દ્વારા પારદર્શક, ટેક્નોલોજી આધારિત અને સભ્ય-કેન્દ્રિત સેવા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા હોવાનું જણાવાયું હતું.
