આમોદના માંડવા ફળિયામાં સરદાર પટેલ આવાસ યોજના હેઠળ ફાળવાયેલા મકાનોને જેસીબી દ્વારા તોડી પાડવામાં આવ્યા હોવાની ફરિયાદ આમોદ પોલીસ મથકે નોંધાવવામાં આવી છે. આ મામલે મેલાભાઈ રમણભાઈ દેવીપુજકે લેખિત રજૂઆત કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.
ફરિયાદ મુજબ, મેલાભાઈ રમણભાઈ દેવીપુજક (ઉ.વ. 37), રહે. મચ્છી માર્કેટ, આમોદ, ધંધે મચ્છી વેપારી, પોતાના પરિવાર સાથે રહે છે. વર્ષ 2003-04 દરમિયાન સરકારશ્રીની સરદાર પટેલ આવાસ યોજના હેઠળ તેમને માંડવા ફળિયામાં 100 ચોરસ વારના પ્લોટ પર રૂ.36,000ની ગ્રાન્ટ તથા રૂ.7,000ના શ્રમફાળા સાથે કુલ રૂ.43,000ના ખર્ચે મકાન નંબર-04 ફાળવવામાં આવ્યું હતું. તા.25/03/2005ના રોજ તલાટી કમ મંત્રી દ્વારા કબ્જા રસીદ પણ આપવામાં આવી હતી. આવી જ રીતે કુલ 30 લાભાર્થીઓને મકાનો ફાળવાયા હતા.
ગત તા.06/05/2026ના રોજ મેલાભાઈ મચ્છી વેચવા ભરૂચ ગયા હતા. સાંજે ઘરે પરત ફરતા ફળિયાના સુનીલભાઈ રાયસંગભાઈ વાઘેલાએ જાણ કરી કે આમોદ-ભીમપુરા રોડ ઉપર રહેતા બસીર અલીભાઈ પટેલ દ્વારા બપોરના સમયે જેસીબી મશીન લાવી સરદાર પટેલ આવાસ યોજનાના મકાનો તોડી પાડવામાં આવ્યા છે.
બાદમાં મેલાભાઈ અને સુનીલભાઈ સ્થળ પર પહોંચતા તમામ 30 મકાનો તોડી પાડેલી હાલતમાં જોવા મળ્યા હતા. સ્થળ પર લોખંડના એંગલ તથા ઈંટોના ઢગલા પડેલા હતા. ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, અમુક મકાનો રહેવા લાયક અને અમુક જર્જરીત હાલતમાં હોવા છતાં તમામ મકાનો જેસીબીથી તોડી પાડવામાં આવ્યા હતા.
ફરિયાદી મુજબ, કુલ 30 મકાનો તોડાતા અંદાજિત રૂ.12.96 લાખનું નુકસાન થયું છે.
ફરિયાદ મોડે નોંધાવાનું કારણ જણાવતાં ફરિયાદીએ લખ્યું છે કે આવાસ યોજનાના જરૂરી પુરાવા મળતા ન હોવાથી અરજી કરવામાં વિલંબ થયો હતો. બાદમાં પુરાવા મળતા તેઓ સુનીલભાઈ વાઘેલા સાથે આમોદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા.
આમોદ પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
