ભરૂચ જિલ્લામાં આગામી દિવસોમાં યોજાનાર વિકસિત ભારત સંકલ્પ સંમેલન તથા પ્રગતિ યાત્રા જનકલ્યાણ શિબિરના આયોજનને લઈ જિલ્લા કલેક્ટર ડો. નવનાથ ગવ્હાણેની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.
બેઠક દરમિયાન કલેક્ટરે ઉપસ્થિત અધિકારીઓને માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે, સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ વધુમાં વધુ લાભાર્થીઓ સુધી પહોંચે તે કાર્યક્રમનો મુખ્ય હેતુ છે. તમામ વિભાગો વચ્ચે સુમેળ અને સંકલન જળવાઈ રહે તેમજ કાર્યક્રમોની પૂર્વ તૈયારીઓ સમયસર પૂર્ણ થાય તે માટે તેમણે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.
આ ઉપરાંત કાર્યક્રમ સ્થળોએ નાગરિકો માટે જરૂરી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ રહે તે બાબતે પણ ખાસ ભાર મુકવામાં આવ્યો હતો. બેઠકમાં આગામી કાર્યક્રમોની પ્રાથમિક રૂપરેખા રજૂ કરી જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ સુચારૂ આયોજન ઘડી કાઢવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
જિલ્લા કલેક્ટરશ્રીએ વહીવટી તંત્રને સુસજ્જ રહેવા તથા આયોજનમાં કોઈ ખામી ન રહે તે માટે જરૂરી દિશાનિર્દેશો આપ્યા હતા.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, નિવાસી અધિક કલેક્ટર પાર્થ જયસ્વાલ, પ્રાંત અધિકારીઓ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
