ભરૂચ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના સફળ 12 વર્ષ પૂર્ણ થતાં દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. તેના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં “પ્રગતિ પથ યાત્રા”નું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય કક્ષાના પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલના માર્ગદર્શન અને ઉપસ્થિતિમાં યોજાયેલી આ યાત્રા દરમિયાન જિલ્લાના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટો અને સફળ પહેલોની મુલાકાત લઈ તેમની કામગીરીનું અવલોકન કરવામાં આવ્યું હતું.
પ્રગતિ પથ યાત્રાની શરૂઆત વાલીયા તાલુકાના ડહેલી ગામ ખાતે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા વિકસાવવામાં આવેલા અનોખા “વન કવચ” મોડલની મુલાકાતથી કરવામાં આવી હતી. મંત્રી ઈશ્વરસિંહ પટેલે અહીં વિવિધ પ્રકારની વનસ્પતિઓ અને છોડનું નિરીક્ષણ કરી વન વિભાગના અધિકારીઓ પાસેથી પ્રોજેક્ટની કામગીરી અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી.
વન કવચ આશરે 2 હેક્ટર વિસ્તારમાં વિકસાવવામાં આવેલ ગીચ જંગલ છે, જેમાં 116 જેટલી વિવિધ પ્રજાતિના અંદાજે 20 હજાર રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ જૈવ વૈવિધ્યના સંરક્ષણ સાથે પર્યાવરણ સંતુલન જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે. ગ્રીન હાઉસ અસર ઘટાડવી, સ્થાનિક સ્તરે માઇક્રો-ક્લાઇમેટનું નિર્માણ, જમીન ધોવાણ અટકાવવું અને કાર્બન શોષણ દ્વારા પર્યાવરણ સુરક્ષામાં આ વન કવચ મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યું છે. મુલાકાતીઓ માટે અહીં સુંદર પાથ-વે, વન કુટીર અને માહિતીસભર બોર્ડની પણ સુવિધા ઊભી કરવામાં આવી છે.
ત્યારબાદ યાત્રા હાંસોટ તાલુકાના પંડવાઈ ગામ ખાતે આવેલી “શ્રી પંડવાઈ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ” ખાતે પહોંચી હતી. અહીં મંત્રી અને અધિકારીઓએ આધુનિક ટેકનોલોજીના ઉપયોગ દ્વારા ખેડૂતોના આર્થિક વિકાસ માટે થઈ રહેલા પ્રયાસોની સમીક્ષા કરી હતી. ફેક્ટરીમાં સ્થાપિત સુગરકેન હાર્વેસ્ટર, ડિસ્ટિલરી પ્લાન્ટ તેમજ ઇથેનોલ ઉત્પાદન એકમની મુલાકાત લઈ કામગીરી અંગે માહિતી મેળવી હતી.
આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ પ્રધાનમંત્રી તરીકે સફળતાપૂર્વક 12 વર્ષ પૂર્ણ કરી 13મા વર્ષમાં પ્રવેશ કર્યો છે, જે દેશ માટે ગૌરવની બાબત છે. છેલ્લા બાર વર્ષ દરમિયાન દેશના દરેક ક્ષેત્રમાં વિકાસની નવી દિશા મળી છે અને સામાન્ય નાગરિક સુધી વિકાસના લાભો પહોંચ્યા છે. આ વિકાસ યાત્રાને લોકો સુધી પહોંચાડવા અને વિવિધ સફળ પ્રોજેક્ટોની મુલાકાત લેવા માટે પ્રગતિ પથ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
પંડવાઈ સુગર ફેક્ટરીની પિલાણ ક્ષમતા અગાઉ 2500 મેટ્રિક ટન પ્રતિ દિવસ હતી, જે વધારીને હવે 4800 મેટ્રિક ટન પ્રતિ દિવસ કરવામાં આવી છે. સરકાર તરફથી મિકેનાઇઝેશન, સુગરકેન હાર્વેસ્ટર સહાય, કો-જનરેશન, ઇલેક્ટ્રિક મોટર ઇન્સ્ટોલેશન અને ડિસ્ટિલરી ક્ષમતા વધારવા માટે મળેલી આર્થિક સહાય અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આધુનિક મશીનરીના ઉપયોગથી શ્રમિકોની અછતનો પ્રશ્ન હલ થયો છે, શેરડીની સમયસર કાપણી શક્ય બની છે અને ખેડૂતોને યોગ્ય ભાવ મળતા તેમની આવકમાં પણ નોંધપાત્ર વધારો થયો હોવાનું જણાવાયું હતું.
પ્રગતિ પથ યાત્રાના અંતર્ગત અધિકારીઓ અને સ્થાનિક અગ્રણીઓની ટીમ હાંસોટ તાલુકાના પાંજરોલી ગામે પણ પહોંચી હતી, જ્યાં એક પ્રગતિશીલ ખેડૂત દ્વારા વિકસાવવામાં આવેલા પ્રાકૃતિક કૃષિ મોડલનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. કૃત્રિમ ખાતરો અને જંતુનાશકોના ઉપયોગ વગર કરવામાં આવતી ખેતીની પદ્ધતિઓ અંગે માહિતી મેળવી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ પ્રોત્સાહિત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
આ સમગ્ર યાત્રા દરમિયાન જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, વન વિભાગના કર્મચારીઓ, સુગર ફેક્ટરીના સંચાલકો, સ્થાનિક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત લોકોએ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિકાસલક્ષી યોજનાઓને બિરદાવી ભરૂચ જિલ્લામાં થઈ રહેલા વિકાસકાર્યોને આવકાર્યા હતા.
