ભરૂચ :
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપ માંગરોલાએ GNFCની સુવર્ણ જયંતી (૫૦ વર્ષ) નિમિત્તે ભરૂચ જિલ્લાના વિકાસ માટે વિશેષ જાહેરાતો કરવાની માંગણી કરી છે.
માંગરોલાએ માનનીય મુખ્યમંત્રી સમક્ષ જિલ્લા કલેક્ટર ભરૂચ મારફત વિગતવાર રજૂઆત કરી છે. આ રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે GNFC માત્ર એક જાહેર ક્ષેત્રની કંપની નથી, પરંતુ ગુજરાતના ઔદ્યોગિક વિકાસ, કૃષિ સમૃદ્ધિ અને આત્મનિર્ભર ગુજરાતના સ્વપ્નનું જીવંત પ્રતિક છે.
રજૂઆતમાં યાદ કરવામાં આવ્યું છે કે GNFCની સ્થાપના પાછળ તત્કાલીન મુખ્યમંત્રી સ્વ. માધવસિંહ સોલંકી, ભરૂચ જિલ્લાના કેબિનેટ મંત્રી સ્વ. હરિસિંહ મહીડા, સ્વ. મગનભાઈ સોલંકી સહિત અનેક જનપ્રતિનિધિઓ, અધિકારીઓ, કર્મચારીઓ, જમીન આપનાર ખેડૂતો અને પરિવારોનું મહત્ત્વપૂર્ણ યોગદાન છે.
મુખ્ય માંગણીઓ: સુવર્ણ જયંતી સમારોહમાં સ્થાપનાકાળના તમામ યોગદાનકર્તાઓ, પૂર્વ ધારાસભ્યો, સાંસદો અને આગેવાનોને સન્માનિત કરવા તેમજ જેઓ હયાત નથી તેમના પરિવારજનોને રાજ્ય સરકાર અને GNFC તરફથી સન્માનપત્ર આપવા. ભરૂચ જિલ્લાના ખેડૂતોને ખાતરની અછતનો સામનો કરવો પડતો હોવાથી જિલ્લા માટે ખાતરની કાયમી વિશેષ ફાળવણીની નીતિ જાહેર કરવી. GNFCના CSR ફંડમાં સંપૂર્ણ પારદર્શિતા લાવવી અને CSR ખર્ચમાં ભરૂચ જિલ્લાને પ્રથમ પ્રાથમિકતા આપવી. ભરૂચ જિલ્લામાં આધુનિક હોસ્પિટલ, કેન્સર સારવાર કેન્દ્ર, માતા-બાળ આરોગ્ય સેવાઓ, ટેકનિકલ શિક્ષણ, સ્કોલરશિપ, કૌશલ્ય વિકાસ કેન્દ્રો અને યુવાનો માટે વિશેષ શૈક્ષણિક યોજનાઓ જાહેર કરવી.
સંદીપ માંગરોલાએ જણાવ્યું કે GNFCના ૫૦ વર્ષ માત્ર કંપનીની સિદ્ધિઓનો ઉત્સવ નથી, પરંતુ ભરૂચ જિલ્લાના લોકો, ખેડૂતો અને પૂર્વ નેતૃત્વના યોગદાનને યાદ કરવાનો અવસર છે. સુવર્ણ જયંતી પ્રસંગે ભરૂચ જિલ્લાના સર્વાંગી વિકાસ માટે વિશેષ પેકેજ અને લોકકલ્યાણકારી યોજનાઓ જાહેર કરવી જોઈએ.
આ રજૂઆતને લઈને જિલ્લા વહીવટી તંત્ર મારફત મુખ્યમંત્રી કાર્યાલય સુધી વિગતો પહોંચાડવામાં આવી છે. GNFCની સુવર્ણ જયંતીની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આ માંગણીઓને લઈને રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચા થઈ રહી છે.
