ભરૂચ :
ભરૂચમાં ઐતિહાસિક જૈન મંદિર અને શ્રી ચક્રધર સ્વામીના જન્મસ્થળ સાથે જોડાયેલા વિવાદને લઈને રાષ્ટ્રીય ધરોહર સંરક્ષણ સમિતિએ આજે સોમવારે વિરોધ પ્રદર્શન અને આવેદનપત્ર સુપ્રત કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
સવારે ૧૧ વાગ્યે હોસ્ટેલ ગ્રાઉન્ડથી શરૂ થયેલી પદયાત્રા કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી. આ પદયાત્રામાં સ્થાનિક લોકો સાથે મહારાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને સમર્થકો જોડાયા હતા. જામા મસ્જિદ વિવાદના સંદર્ભમાં આ કાર્યક્રમ યોજાયો હતો.
સમગ્ર માર્ગે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. કલેક્ટર કચેરી ખાતે શાંતિપૂર્ણ વાતાવરણમાં રાષ્ટ્રીય ધરોહર સંરક્ષણ સમિતિના હોદ્દેદારો અને પ્રતિનિધિઓએ અધિકારીઓને આવેદનપત્ર તથા હસ્તાક્ષર પત્ર સુપ્રત કર્યા હતા.
સમિતિએ વહીવટી તંત્રનું ધ્યાન ખેંચીને પોતાની માંગણીઓ અને વિરોધની નોંધ લેવાની અપીલ કરી હતી. મહારાષ્ટ્રમાંથી આવેલા મોટા સમૂહને ધ્યાનમાં રાખીને તંત્રે સુરક્ષાના વ્યાપક પગલાં લીધા હતા, જેના પરિણામે સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયો હતો. કોઈ અનિચ્છનીય ઘટના બની ન હતી.
રાષ્ટ્રીય ધરોહર સંરક્ષણ સમિતિના આગેવાનોએ જણાવ્યું કે ઐતિહાસિક અને ધાર્મિક સ્થળોના સંરક્ષણ માટે તેઓ સતત પ્રયાસરત રહેશે અને આવેદનપત્રમાં ઉઠાવેલી માંગણીઓના નિરાકરણ માટે વહીવટી તંત્રને વિનંતી કરી છે.
