ભરૂચ શહેરમાં વધતી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને શુક્રવારે માર્ગ અને મકાન વિભાગની ટીમે નંદેલાવ ચોકડીથી ચાવજ ચોકડી સુધીના માર્ગ પર કરવામાં આવેલાં દબાણને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અભિયાન અંતર્ગત રોડની બન્ને તરફ મધ્યરેખાથી ૧૫ મીટરની હદમાં આવતાં દબાણો દૂર કરવામાં આવ્યાં હતાં. વિભાગ દ્વારા અગાઉ વિસ્તારમાં માપણી કરી કેટલાંક દુકાનદારો સહિત અન્ય ઈમારતના માલિકોને નોટિસ આપવામાં આવી હતી.
તેમજ તેમને સ્વૈચ્છિક રીતે તેમના દબાણો દૂર કરવાની તક આપી હતી. જોકે, તેમ છતાં દબાણો દૂર નહીં થતાં માર્ગ અને મકાન વિભાગની ટીમે રસ્તાની હદમાં આવતાં શેડ, ઓટલાં, લારી-ગલ્લા તેમજ અન્ય બાંધકામો દૂરકર્યા હતાં. કાર્યવાહીના સમયે કોઈ માથાભારે શખ્સો દ્વારા કામગીરીમાં અડચણ ઉભું ન કરાય અને કામગીરી સરળતાથી પૂર્ણ થાય તે માટે પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો. માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, માર્ગની નિર્ધારિત પહોળાઈ જાળવવા તેમજ વાહનવ્યવહાર વધુ સરળ અને સુવ્યવસ્થિત બનાવવા માટે આ અભિયાન હાથ ધરાયું છે. તેમણે ઉમેયું હતું કે, આગામી દિવસોમાં પણ ટીમની કાર્યવાહી જારી રહેશે.
