ભરૂચ.
સુરતનો અંબાલિયા પરિવારના ૮ સભ્યો ઈકો કાર લઈને દ્વારકા દેવદર્શને ગયાં હતાં. દર્શન કર્યા બાદ તેઓ પરત સુરત જવા માટે રવાના થયાં હતાં. દરમિયાનમાં વહેલી સવારે પાંચ વાગ્યાના અરસામાં તેઓ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર કેલોદ ગામ પાસેથી પસાર થઈ રહ્યાં હતાં. તે વેળાં કોઈ કારણસર ચાલકનું સ્ટિયરીંગ પર કાબુ નહીં રહેતાં તેમની કાર રોડની સાઈડમાં ઉભેલાં એક કન્ટેઈનરની પાછળ ધડાકાભેર ભટકાઈ ગઈ હતી. અકસ્માતના કારણે કારનો ઉપરનો અડધો ભાગ કન્ટેઈરમાં કાર પુસી જવાને કારલે કચ્ચરઘાણ વળી ગયો હતો.
અકસ્માતમાં કારમાં બેસેલાં પરિવારજનો થવાતાં તેમની ચીસોથી આખો વિસ્તાર ગુંજી ઉઠતાં અરેરાટી ફેલાઈ હતી. ઘટનાને પગલે ત્યારથી પસાર થતાં અન્ય વાહન ચાલકો તુરંત મદદે દોડી આવ્યાં હતાં. બીજી તરફ હાઈવે એમ્બ્યુલન્સ સહિત હાઈવે પેટ્રોલિંગની ટીમ પણ તુરંત સ્થળ પર પસી આવતાં તેમણે કન્ટેઈનરમાં ફસાયેલી કારને સાઈડમાં કરી તેમાં ફસાયેલાઓને બહાર કાઢવાની કવાયત હાથ ધરાઈ હતી. ટીમે તમામને બહાર કાઢતાં તે પૈકીના માતા-પુત્ર એટલે કે ગીતાબેન મનોજભાઈ આંબલીયા તેમજ તેમના ૧૨ વર્ષીય પુત્ર ચિંતનનું ગંભીર ઈજાઓને કારણે સ્થળ પર જ મોત નીપજ્યું હોવાનું માલુમ પડયું હતુ. જ્યારે મનોજ આંબલીયા, સૃષ્ટી મનોજ આંબલીયા, સોનલ વિજય ઘોઘારી સહિતના ઈજાગસ્તોને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. ઘટનાને પગલે ભરૂચ તાલુકા પોલીસની ટીમ પણ સ્થળ પર દોડી આવી હોઈ પોલીસે મૃતકોના દેહને પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી અકસ્માત અંગેની ફરિયાદ નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
