અંકલેશ્વર તાલુકાના ભાદી ગામના તળાવમાં છેલ્લા કેટલાક દિવસોથી દેખાતો અંદાજે પાંચ ફૂટ લાંબો મગર આખરે વન વિભાગના પાંજરે પુરાયો છે. સતત સાત દિવસ સુધી ચાલેલી રેસ્ક્યૂ કામગીરી બાદ મગરને સફળતાપૂર્વક પકડી લેવામાં આવતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.
ભાદી ગામના તળાવમાં મગર દેખાતા ગામમાં ભયનો માહોલ સર્જાયો હતો. મગરના કારણે લોકો તળાવની આસપાસ જવાનું ટાળી રહ્યા હતા અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચિંતિત બન્યા હતા.
ગ્રામજનોની જાણ બાદ વન વિભાગે તાત્કાલિક સ્થળ પર પહોંચી તળાવ પાસે પાંજરું ગોઠવ્યું હતું. છેલ્લા સાત દિવસથી સતત નજર રાખી મગરને પકડવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.
આખરે સાતમા દિવસે અંદાજે પાંચ ફૂટ લાંબો મગર પાંજરે પુરાતા સમગ્ર ગામમાં રાહતની લાગણી પ્રસરી હતી. વન વિભાગે મગરનો કબજો મેળવી તેને સુરક્ષિત કુદરતી નિવાસસ્થાને છોડવાની કાર્યવાહી હાથ ધરી છે.
વન વિભાગે લોકોને જળાશયો અને તળાવોની આસપાસ સાવચેતી રાખવા તેમજ કોઈ જંગલી પ્રાણી દેખાય તો તાત્કાલિક વન વિભાગને જાણ કરવા અપીલ કરી છે.
